Asia Cup 2025માંથી બહાર થઈ શકે છે આ ભારતીય ખેલાડી, ટૂર્નામેન્ટ રમવા પર છે સસ્પેન્સ

હાલમાં જ ભારતીય ટીમનો ઈંગ્લેન્ડનો પ્રવાસ સમાપ્ત થયો છે. જ્યાં બંને ટીમો વચ્ચે રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો રહી હતી.આ સિરીઝ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ઈજા થઈ હતી. ચોથી ટેસ્ટ મેચમાં ક્રિસ વોક્સનો બોલ તેના પગમાં વાગ્યો હતો. ત્યારબાદ સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું કે તેના પગમાં ફ્રેક્ચર છે. ઈજાને કારણે તે પાંચમી ટેસ્ટ મેચમાં નહતો રમી શક્યો અને બહાર થઈ ગયો હતો. ત્યારબાદ ધ્રુવ જુરેલને તેની જગ્યાએ તક મળી હતી.
રિષભ પંત T20 વર્લ્ડ કપ 2024 પછી T20I મેચ નથી રમ્યો
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. રિષભ પંત માટે એશિયા કપ 2025 માટે ફિટ થવું મુશ્કેલ લાગે છે, કારણ કે તેના ફ્રેક્ચરને ઠીક થવામાં સમય લાગી શકે છે. આ કારણે, તે આગામી ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે. બીજી તરફ, પંત T20 વર્લ્ડ કપ 2024 પછી ભારત માટે T20I ક્રિકેટ નથી રમ્યો. તેનું ધ્યાન ટેસ્ટ ક્રિકેટ પર વધુ રહ્યું છે, તે ભારતીય ટેસ્ટ ટીમમાં એક મહત્ત્વપૂર્ણ કડી બની ગયો છે.
T20Iમાં પંતની એવરેજ માત્ર 23.25 રહી છે
રિષભ પંતે 2017માં ભારતીય ટીમ માટે T20માં ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી તેણે 76 T20I મેચોમાં કુલ 1209 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન, તેની એવરેજ માત્ર 23.25 રહી છે. તે છેલ્લી IPL સીઝનમાં પણ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો હતો અને તેણે IPL 2025ની 14 મેચોમાં કુલ 269 રન બનાવ્યા હતા.
સંજુ સેમસન જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે
તાજેતરના વર્ષોમાં, સંજુ સેમસન રિષભ પંતની જગ્યાએ ભારતીય T20 ટીમમાં વિકેટકીપરની ભૂમિકા ભજવી છે અને તેણે સારું પ્રદર્શન પણ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 42 T20I મેચોમાં કુલ 861 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેની વિકેટકીપિંગ સ્કિલ્સ પણ અદ્ભુત છે. આવી સ્થિતિમાં, તેને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા ખૂબ જ વધારે છે. બીજી તરફ, ઈશાન કિશન પણ T20I ટીમમાં સામેલ થવા માટે તૈયાર છે. ઈશાને અત્યાર સુધીમાં 32 T20I મેચોમાં 796 રન બનાવ્યા છે.

