IND vs SA / ક્યારે અને ક્યાં રમાશે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20I? અહીં જાણો વિગતો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની T20I સિરીઝ ચાલી રહી છે. અત્યાર સુધી બે મેચ રમાઈ છે, અને બંને ટીમો એક-એક જીત સાથે બરાબરી પર છે. કટકમાં રમાયેલી પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી, પરંતુ ભારત બીજી મેચ હારી ગયું હતું.
મુલ્લાનપુરમાં રમાયેલી બીજી T20Iમાં સાઉથ આફ્રિકાએ 51 રનની જીત સાથે સિરીઝ 1-1થી બરાબર કરી હતી. પરિણામે સિરીઝની ત્રીજી મેચ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. બંને ટીમો આ મેચમાં પોતાની લીડ વધારવાના ઈરાદા સાથે પ્રવેશ કરશે. ચાલો જાણીએ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20I ક્યારે અને ક્યાં રમાશે.
ત્રીજી T20I ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સિરીઝની ત્રીજી મેચ રવિવાર, 14 ડિસેમ્બરના રોજ રમાશે. સુંદર હિમાલયની ખીણો વચ્ચે વસેલા ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં બંને ટીમો એકબીજાનો સામનો કરશે. બંને ટીમો ત્રીજી T20I માટે ધર્મશાલા પહોંચી છે અને શનિવારે તેઓ સ્ટેડિયમમાં અલગ અલગ સમયે પ્રેક્ટિસ કરશે. સિરીઝમાં લીડ મેળવવા માટે બંને ટીમો માટે આ મેચ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચની ત્રીજી T20I મેચ રવિવારે ધર્મશાલામાં ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે સાંજે 6:30 વાગ્યે થશે. તમને જણાવી દઈએ કે ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 11 T20I રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમોએ 4 મેચ જીતી છે અને ટાર્ગેટ ચેઝ કરનારી ટીમોએ 6 મેચ જીતી છે.
બીજી T20I મેચની સ્થિતિ
મુલ્લાનપુરમાં રમાયેલી બીજી T20Iમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ટીમ તરફથી ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 90 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ડોનોવન ફરેરાએ અણનમ 30 રન બનાવ્યા અને કેપ્ટન એડન માર્કરમે 29 રન ઉમેર્યા હતા.
આ પછી ટાર્ગેટ ચેઝ કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમે માત્ર 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. અભિષેક શર્મા 17 રન પર, કેપ્ટન સૂર્યા 5 રન પર અને શુભમન ગિલ તો ખાતું ખોલ્યા વિના આઉટ થયો. તિલક વર્માએ ઈનિંગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો અને 62 રન બનાવ્યા. જોકે, અન્ય કોઈ બેટ્સમેન ખાસ યોગદાન ન આપી શક્યા અને ભારત 51 રનથી હારી ગયું. આ સાથે સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ.

