IND vs SA / 'હંમેશા અભિષેક પર..', બીજી મેચ હાર્યા બાદ કેપ્ટન સૂર્યાએ આપ્યું નિવેદન, ગિલનો પણ કર્યો ઉલ્લેખ

ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની T20I સિરીઝની બીજી મેચમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમે બોલિંગ અને બેટિંગ બંનેમાં ખરાબ પ્રદર્શન કર્યું. પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 213 રન બનાવ્યા, પરંતુ પછી ભારતીય ટીમને 162 રનમાં ઓલઆઉટ કરી દીધી, જેનાથી સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ. શરમજનક હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મોટું નિવેદન આપ્યું હતું.
'અમે હંમેશા અભિષેક પર નિર્ભર નથી રહી શકતા'
સાઉથ આફ્રિકા સામેની બીજી T20Iમાં ભારતની હાર બાદ સૂર્યકુમાર યાદવે આપેલા નિવેદનમાં કહ્યું, "અમે આ મેચમાં પહેલા બોલિંગ કરી હતી પરંતુ ખાસ કંઈ ન કરી શક્યા. જ્યારે આફ્રિકન ટીમે પોતાની બોલિંગથી અમને દેખાડ્યું કે આ વિકેટ પર કેવી લેંથ રાખવી જોઈએ. અમારે આમાંથી શીખવાની અને આગળ વધવાની જરૂર છે. આ મેચમાં થોડી ઝાકળ પડી હતી, પરંતુ જો તેનાથી કામ હતું થઈ રહ્યું, તો અમારે તાત્કાલિક અલગ યોજના અપનાવવી જોઈતી હતી, પરંતુ અમે તેમ કરવામાં નિષ્ફળ ગયા. અમારે બીજી ઈનિંગમાં બોલિંગ કેવી રીતે કરવી તે શીખવાની જરૂર છે અને આગામી મેચોમાં તે મુજબ કેવી રીતે રમવું. મને લાગે છે કે શુભમન અને મારે બેટિંગમાં જવાબદારી લેવાની જરૂર છે કારણ કે અમે હંમેશા અભિષેક પર નિર્ભર નથી રહી શકતા, કારણ કે તેનો પણ દિવસ ખરાબ હોઈ શકે છે. શુભમન, હું અને અન્ય બેટ્સમેનોએ આ જવાબદારી ઉપાડવાની જરૂર છે. શુભમન પહેલા બોલ પર આઉટ થઈ ગયો, જેના પછી મારે વધુ સારું રમવું જોઈતું હતું, પરંતુ એવું થયું નહીં. અમારે આ ભૂલોમાંથી શીખવાની અને આગળ વધવાની જરૂર છે."
અક્ષરને નંબર 3 પર મોકલવાનું કારણ જણાવ્યું
બીજી T20I મેચમાં ભારતીય ટીમ તરફથી અક્ષર પટેલને નંબર 3 પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો, આ નિર્ણયથી ચોક્કસપણે બધાને આશ્ચર્ય થયું. આ અંગે, સૂર્યાએ પોતાના નિવેદનમાં કહ્યું, "અમે પાછલી મેચમાં આનો વિચાર કર્યો હતો કારણ કે અમે બધાએ અક્ષરને અન્ય ફોર્મેટમાં ખૂબ સારી બેટિંગ કરતા જોયો છે અને અમે ઈચ્છતા હતા કે તે આ મેચમાં પણ તે જ રીતે બેટિંગ કરે, પરંતુ તે કામ ન કર્યું, જોકે તેણે સારી બેટિંગ કરી. હવે અમે જોઈશું કે આગામી મેચમાં અમે શું વધુ સારું કરી શકીએ છીએ." તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી T20I મેચ 14 ડિસેમ્બરે ધર્મશાલા સ્ટેડિયમ ખાતે રમાશે.

