No Handshake Controversy / પાકિસ્તાની ટીમના મોં પર વધુ એક તમાચો, ICC એ મેચ રેફરીને હટાવવાની PCBની માંગ ફગાવી

ICC એ PCBની મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપમાંથી હટાવવાની માંગણી ફગાવી દીધી છે. ICC એ આ મામલાની તપાસ કર્યા પછી PCBને તેના નિર્ણયની જાણ કરી છે. PCBના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડિરેક્ટર સહિત કેટલાક ACC અધિકારીઓ પહેલાથી જ જાણતા હતા કે બંને કેપ્ટનો વચ્ચે હાથ મિલાવવાની કોઈ શક્યતા નથી.
PCB એ ICCને લખેલા પત્રમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જો એન્ડી પાયક્રોફ્ટને હટાવવામાં નહીં આવે, તો તેઓ તેમની ટીમને ટુર્નામેન્ટમાંથી પાછી ખેંચી લેશે. પાકિસ્તાનની આગામી મેચ આવતીકાલે UAE સામે છે.
શું છે સમગ્ર મામલો?
ભારતીય ટીમના એશિયા કપ મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના નિર્ણયથી મોટો વિવાદ (No Handshake Controversy) સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પોતાની નારાજગી વ્યક્ત કરી અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને આ માટે જવાબદાર ઠેરવીને તેમને હટાવવાની માંગ કરી હતી.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 7 વિકેટની જીત બાદ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, "પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 પ્રવાસીઓના પરિવારો સાથે એકતા દર્શાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું."
સમગ્ર ઘટના અંગે PCB એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને ફરિયાદ કરી અને ICCના હસ્તક્ષેપની પણ માંગ કરી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો પાયક્રોફ્ટને દૂર કરવામાં નહીં આવે તો પાકિસ્તાને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી આપી છે.
નકવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, "PCB એ ક્રિકેટની ભાવના અને ICC આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે અને મેચ રેફરીને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે."
સૂત્રોના જણાવ્યા અનુસાર, ACC મધ્યમ માર્ગ શોધી રહ્યું છે અને ફક્ત પાકિસ્તાન સાથે સંકળાયેલી મેચોમાંથી પાયક્રોફ્ટને દૂર કરવાનું વિચારી શકે છે. 69 વર્ષીય ઝિમ્બાબ્વેના પાયક્રોફ્ટ હાલમાં બુધવારે UAE સામે પાકિસ્તાનની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં અમ્પાયરિંગ કરવાના છે.
BCCI એ વિવાદ પર મૌન તોડ્યું
BCCIના એક વરિષ્ઠ અધિકારીએ એ સ્પષ્ટ કર્યું કે, મેચ બાદ વિપક્ષી ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવો ગુડવિલ જેસ્ચર છે, કોઈ અનિવાર્ય નિયમ નથી. તેમણે આગળ કહ્યું કે, "જો તમે રુલ બુક વાંચશો છો, તો તેમાં એવું ક્યાંય નથી લખ્યું કે ખેલાડીઓએ દરેક મેચ પછી વિરોધી ટીમ સાથે હાથ મિલાવવા જ પડશે. આ ફક્ત રમતગમતની ભાવના હેઠળ લેવાયેલું પગલું છે, વિશ્વભરના દેશોમાં અનુસરવામાં આવતો કોઈ કાયદો નથી. અને જ્યારે બે દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હોય છે, ત્યારે ભારતીય ટીમ પર હાથ મિલાવવા માટે કોઈ દબાણ ન કરી શકાય."

