રવિચંદ્રન અશ્વિન હવે ધોની સાથે નથી રમવા માંગતો? શું ઓફ-સ્પિનરે બનાવી લીધું છે CSK છોડવાનું મન?

IPLની 19મી સિઝન 2026માં રમાશે, જેના માટે તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL 2026 માટે એક મીની પ્લેયર ઓક્શન પણ યોજવામાં આવશે, જેમાં કયા ખેલાડીઓનો સમાવેશ થશે તે ટીમોની રિટેન્શન અને રિલીઝ યાદી જાહેર થયા પછી જ સ્પષ્ટ થશે. દરમિયાન, ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને, જે છેલ્લી IPL સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમ્યો હતો, તેણે આગામી સિઝન પહેલા CSK છોડવાનું લગભગ મન બનાવી લીધું છે.
અશ્વિને CSK છોડવાનું મન બનાવી લીધું છે
રવિચંદ્રન અશ્વિન CSKની ટીમ કેમ છોડવા માંગે છે તે અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. એક અહેવાલ મુજબ, અશ્વિને ફ્રેન્ચાઈઝીથી અલગ થવાનું મન બનાવી લીધું છે, તેણે CSKની ટીમને પણ આ અંગે જાણ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી, CSK અધિકારીઓ અને ખેલાડીઓ વચ્ચે બેઠક ચાલી રહી હતી, જેમાં વર્તમાન અને ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની તેમજ ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ થાય છે. આ બેઠકમાં આગામી વર્ષની સિઝન માટે યોજનાઓ બનાવવામાં આવી રહી હોવાની ધારણા છે. IPL 2025ના માટે મેગા ઓક્શનમાં CSKની ટીમે અશ્વિનને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અશ્વિનનું ગત સિઝનમાં પ્રદર્શન અપેક્ષા મુજબ નહતું
રવિચંદ્રન અશ્વિનનું IPL 2025માં પ્રદર્શન અપેક્ષા મુજબ બિલકુલ નહતું, આ સિઝન તેને 9 મેચ રમવાની તક મળી હતી અને તેમાં તે 40.43ની એવરેજથી માત્ર 7 વિકેટ લઈ શક્યો હતો. અશ્વિન બેટથી માત્ર 33 રન જ બનાવી શક્યો હતો. જો આપણે IPLમાં અશ્વિનના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ, તો તેણે 221 મેચમાં કુલ 187 વિકેટ લીધી છે, જેમાં તેની એવરેજ 30.22 રહી છે.

