Women's World Cup 2025 / સેમીફાઈનલ પહેલા આ વાતને લઈને ચિંતિત છે હરમનપ્રીત કૌર, ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ જણાવ્યું

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025 ની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાને સતત ત્રણ હાર બાદ જીત મળી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે ટીમના બેટિંગ પ્રદર્શનને જીતનો શ્રેય આપ્યો હતો. જોકે, કેપ્ટન સેમીફાઈનલ માટે ચિંતિત છે, જેનો ખુલાસો તેણે મેચ પછી કર્યો હતો.
ભારતે પહેલા બેટિંગ કરતા 49 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા હતા. વરસાદને કારણે ન્યુઝીલેન્ડને 44 ઓવરમાં 325 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ટીમ ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી. ન્યુઝીલેન્ડ 44 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 271 રન જ બનાવી શક્યું હતું.
બેટ્સમેનોની પ્રશંસા કરી
ભારત માટે ઓપનર્સ પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી અને 212 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. પ્રતિકાએ 134 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 122 રન બનાવ્યા હતા. જ્યારે મંધાનાએ 95 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 109 રન બનાવ્યા હતા. આ બંને પછી જેમીમા રોડ્રિગ્સ 55 બોલમાં 76 રન બનાવી અણનમ રહી હતી. તેણે પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા.
હરમનપ્રીત કૌરે કહ્યું, "અમને દરેક મેચમાં સારી શરૂઆત મળી રહી હતી, પરંતુ અમે તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત ન કરી શકતા. પ્રતિકા અને સ્મૃતિ આ માટે શ્રેયને પાત્ર છે. અમે સારી શરૂઆત કરી. જ્યારે તે બંનેએ બોર્ડ પર 200 રન બનાવ્યા, ત્યારે અમે જેમીમાને ત્રીજા નંબરે મોકલવાનું નક્કી કર્યું. તેની પાસેથી બધાને જેવી અપેક્ષા હતી, તેણે તેવી જ બેટિંગ કરી."
આ વાતનો છે ડર
ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ તેની બોલિંગ અત્યાર સુધી નિરાશાજનક રહી છે. હરમનપ્રીતે સ્વીકાર્યું કે ટીમના બોલર્સે એક યુનિટ તરીકે સારું પ્રદર્શન નથી કર્યું. તેણે કહ્યું, "અમે બેટથી સારું કરી રહ્યા છીએ, પરંતુ બોલિંગ એવી વસ્તુ છે જે મને લાગે છે કે અમારે મજબૂત કરવાની જરૂર છે. આશા છે કે, બોલિંગ યુનિટ તરીકે, અમે સારું પ્રદર્શન કરી શકીશું."

