IND vs ENG / માન્ચેસ્ટર ટેસ્ટના હેન્ડશેક વિવાદ પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન, કહ્યું- 'શું ઈંગ્લેન્ડ પોતાના ખેલાડીઓ...'

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી, પરંતુ તેના છેલ્લા દિવસે મેદાન પર ઘણો ડ્રામા જોવા મળ્યો. જ્યારે ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર આઉટ નહતા થઈ રહ્યા, ત્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે બંને બેટ્સમેનોને મેચ ડ્રો કરવાની ઓફર કરી હતી. જોકે, બંને ભારતીય બેટ્સમેન તેમની સદીની નજીક હતા અને તેમણે આ ઓફર ઠુકરાવી દીધી. આ પછી, હેન્ડશેકને લઈને વિવાદ થયો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે કોચ ગૌતમ ગંભીરે પણ આ સમગ્ર વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે આપ્યો જવાબ
જ્યારે મેચ પછી ભારતીય કોચ ગૌતમ ગંભીરને આ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે સ્પષ્ટપણે પોતાનો પક્ષ રજૂ કર્યો. તેણે પૂછ્યું કે જો ઈંગ્લેન્ડના ખેલાડીઓ સાથે પણ આવી જ પરિસ્થિતિ થઈ હોત, તો શું તેઓ મેદાન છોડીને જતા હોત? ગંભીરે કહ્યું, "જો કોઈ ખેલાડી 90 રન પર બેટિંગ કરી રહ્યો હોય અને બીજો ખેલાડી પણ 85 રન પર બેટિંગ કરી રહ્યો હોય, તો શું તેઓ પોતાની સદી પૂર્ણ કરવાનો હકદાર નથી? શું ઈંગ્લેન્ડ પોતાના ખેલાડીઓને સદીની આટલી નજીક આવીને મેદાન છોડીને જવાનું કહેશે? જવાબ છે ના. અમારા ખેલાડીઓએ તોફાનનો સામનો કર્યો. તેમણે ખૂબ મહેનત કરીને તે સદી પૂરી કરી છે અને અમે અહીં કોઈને ખુશ કરવા માટે નથી."
જાડેજા-સુંદરની સદી
ભારત માટે, રવિન્દ્ર જાડેજા (અણનમ 107) અને વોશિંગ્ટન સુંદર (અણનમ 101) એ છેલ્લા દિવસે 203 રનની મજબૂત પાર્ટનરશિપ કરી અને મેચ ડ્રો કરી. જ્યારે બંને બેટ્સમેન પોતાની સદીની નજીક આવ્યા, ત્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે રમત સમાપ્ત કરવાની ઓફર આપી હતી.
ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ મેચ પછીના પોતાના નિવેદનમાં ગંભીર જેવી જ વાત ખી હતી. તેણે કહ્યું, "જ્યારે કોઈ બેટ્સમેન પોતાની સદીની આટલી નજીક હોય છે, ત્યારે તે તેને હાંસલ કરવાને પાત્ર છે. મેચનું પરિણામ ગમે તે હોય, અમે અમારા ખેલાડીઓને તે સ્થાન આપવા માંગીએ છીએ જેને તેઓ લાયક છે."

