માન્ચેસ્ટર ટેસ્ટ બાદ ભારતના પૂર્વ ખેલાડીનું શુભમન ગિલ પર મોટું નિવેદન, કહ્યું- 'કોહલીની નકલ કરવાની ભૂલ...'

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે, જેની છેલ્લી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં 31 જુલાઈથી શરૂ થવાની છે. આ પહેલા ભારતના પૂર્વ ખેલાડીએ શુભમન ગિલ વિશે મોટું નિવેદન આપ્યું છે. ભારતનો પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફ ઈંગ્લેન્ડ વિરુદ્ધ માન્ચેસ્ટર ટેસ્ટમાં શુભમન ગિલ દ્વારા મેદાનમાં બતાવેલા અંદાજથી ખૂબ જ પ્રભાવિત છે. તેણે કહ્યું કે, યુવા કેપ્ટને પોતાની ભૂલ સમજાઈ છે અને ચોથી ટેસ્ટમાં તે ખૂબ જ શાંત અને સંયમિત જોવા મળ્યો હતો. તે વિરાટ કોહલીની નકલ નથી કરતો.
કેપ્ટન તરીકે તે શાંત જોવા મળ્યો
કૈફે કહ્યું હતું, લોર્ડ્સ ટેસ્ટમાં આક્રમકતાની ટીકાનો સામનો કર્યા પછી ગિલ ઓલ્ડ ટ્રેફોર્ડમાં વિરાટ કોહલીની નકલ કરતો ન દેખાયો. તે કેપ્ટન તરીકે શાંત અને સંયમિત જોવા મળ્યો અને ભારતની બીજી ઈનિંગમાં સદી ફટકારીને મેચ બચાવવાની મુખ્ય ભૂમિકામાં રહ્યો હતો. આ ડ્રોને કારણે ભારતીય ટીમે સિરીઝને જીવંત રાખી છે અને હવે તે ઓવલ ટેસ્ટ સિરીઝ જીતીને 2-2 થી બરાબરી પર સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.
લોર્ડ્સ ટેસ્ટની બંને ઈનિંગમાં તેનું બેટ શાંત રહ્યું
લોર્ડ્સ ટેસ્ટમાં શુભમન ગિલ મેદાનમાં ઉતરતા ખૂબ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો હતો. બેટિંગ દરમિયાન ઈરાદાપૂર્વક સમય બગાડવાની ઈંગ્લેન્ડની ચાલાકી પર થોડાક સમય માટે ગુસ્સે થઈ ગયો હતો અને ઝેક ક્રોલી સાથે ઝઘડી પડ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટની બંને ઈનિંગમાં તેનું બેટ શાંત રહ્યું. જેના કારણે તેની ઘણી ટીકા પણ થઈ હતી તેમજ કેટલાક લોકો એમ કહી રહ્યા હતા કે, તે વિરાટ કોહલીની નકલ કરી રહ્યો હતો. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે તો એમ પણ કહ્યું હતું કે, ઈંગ્લેન્ડના ખેલાડીઓ સાથે ઝઘડો થવાથી ગિલની બેટિંગ પર અસર પડી હતી.
ભૂલનો અહેસાસ થયો
કૈફનું માનવું છે કે, કેપ્ટન તરીકે શુભમન ગિલના શાંત સ્વભાવ અને ઠંડા મગજથી રમવાથી તેની બેટિંગ પર સકારાત્મક અસર પડી હતી. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "આ ટેસ્ટમાં તમે બધાએ જોયું હશે કે, જ્યારે પણ કેમેરાનું ધ્યાન તેના પર ગયું, ત્યારે તે શાંત દેખાતો હતો. તેને વિરાટ કોહલીની નકલ કરવાની તેની ભૂલનો અહેસાસ થયો. તેને તેના શાંત સ્વભાવનો અહેસાસ થયો અને તેનાથી તેની બેટિંગમાં પણ સુધારો થયો."
કૈફે માન્ચેસ્ટર ટેસ્ટમાં સ્પિનર કુલદીપ યાદવને ન રમાડવાને મોટી ભૂલ કહી હતી. તેણે કહ્યું, "માન્ચેસ્ટરમાં કુલદીપ યાદવને ન રમાડવો એ એક મોટી ભૂલ હતી. તમારે લેફ્ટ આર્મ સ્પિનરની જરૂર હતી. મને લાગે છે કે, તે ઓવલ ખાતે આગામી ટેસ્ટમાં રમશે કારણ કે ભારત સીરિઝમાં 1-2 થી પાછળ છે."
પૂર્વ ક્રિકેટરે વધુમાં કહ્યું, "તમારે ઓવલ ટેસ્ટ જીતવી પડશે. જો તમે હારી જશો, તો તમે સિરીઝ પણ ગુમાવશો... તમે ડ્રો વિશે પણ નહીં વિચારી શકો. જીતવા માટે તમારે 20 વિકેટની જરૂર પડશે. 20 વિકેટ લેવા માટે, તમારે પ્લેઈંગ ઈલેવનમાં વધુ સારા બોલરો રાખવા પડશે. પરિસ્થિતિ ગમે તે હોય, આગામી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવની જરૂર છે."

