VIDEO: પૂર્વ ક્રિકેટરે મુંબઈ ઈન્ડિયન્સને આપી સલાહ, હાર્દિક પંડ્યાને હટાવી જસપ્રીત બુમરાહને બનાવો કેપ્ટન
IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. હવે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ પર હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ પરથી હટાવવાનું દબાણ વધી રહ્યું છે.
બુમરાહને કમાન સોંપવાની સલાહ
પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટને આકરા શબ્દોમાં સલાહ આપી છે કે હવે હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ પરથી મુક્ત કરવાનો સમય આવી ગયો છે. માંજરેકરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ ટીમનું નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તે જે રીતે ક્રિકેટને સમજે છે તેવું બીજું કોઈ નથી કરી શકતું. બુમરાહ બોલિંગ તો સારી કરે જ છે પણ સાથે સાથે તેનામાં બેટરની માનસિકતા સમજવાની કળા છે.
આશિષ નેહરા વગર હાર્દિક પંડ્યા અધૂરો છે: માંજરેકર
માંજરેકરે હાર્દિકની કેપ્ટનસી પર કટાક્ષ કરતા કહ્યું કે, હાર્દિક પંડ્યા ત્યારે જ સફળ હતો જ્યારે તેની સાથે આશિષ નેહરા હતો. હાર્દિક પંડ્યાને મુંબઈમાં લાવવાનો નિર્ણય કારગત નીવડ્યો નથી. જો મુંબઈ હાર્દિકને લાવવા માંગતું હતું, તો તેમણે આશિષ નેહરાને પણ સાથે લાવવા જોઈતા હતા. તે એક 'પેકેજ ડીલ' જેવું હોત. નેહરા વગર હાર્દિક મુંબઈમાં એ જાદુ કરી શક્યો નથી જે તેણે ગુજરાત ટાઈટન્સ માટે કર્યો હતો.

