Asia Cup 2025 / સૂર્યકુમાર યાદવે ઓમાન સામે કેમ ન કરી બેટિંગ? પૂર્વ ક્રિકેટરે આપ્યા અનેક કારણો

એશિયા કપ 2025ની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતીય ટીમનો સામનો ઓમાન સામે થયો હતો. ભારતીય ટીમે એશિયા કપમાં નબળી ગણાતી ટીમ સામે અનેક પ્રયોગ કર્યા હતા. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીને આરામ આપવામાં આવ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે બેટિંગ જ નહતી કરી. આના કારણે સૂર્યાની ટીકા પણ થઈ છે. દરમિયાન, દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તેનો બચાવ કર્યો છે.
નંબર 11 પર બેટિંગ કરવા આવત સૂર્યા
ભારતે આ મેચ પહેલા જ UAE અને પાકિસ્તાનને હરાવીને સુપર-4માં સ્થાન મેળવી લીધું હતું. આવી સ્થિતિમાં કેપ્ટન લોઅર ઓર્ડરને બેટિંગ કરવાની તક આપવા માંગતો હતો. તેથી, ઓમાન સામે બેટિંગ ઓર્ડરમાં ફેરફાર જોવા મળ્યો. સૂર્યાએ પોતાને નંબર 11 પર મૂક્યો. નંબર 3 પર બેટિંગ કરતા સંજુ સેમસનએ અડધી સદી ફટકારી. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, તિલક વર્મા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને શિવમ દુબેને પણ બેટિંગ સ્લોટ મળી હતી.
પ્રેક્ટિસની જરૂર નહતી
ગાવસ્કરે સોની સ્પોર્ટ્સ પર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ સાથે વાત કરતા કહ્યું, "જો તેણે એક ઓવર પણ બેટિંગ કરી હોત, તો તે કેટલાક ચોગ્ગા અને છગ્ગા ફટકારી શક્યો હોત, અને તે તેના માટે સારું હોત. પરંતુ જે રીતે તેણે પાકિસ્તાન સામે બેટિંગ કરી, તેને કદાચ બેટિંગ પ્રેક્ટિસની જરૂર નથી."
ગાવસ્કરે કહ્યું, "સૂર્યકુમાર યાદવે વિચાર્યું હશે કે જો ભારત મેચમાં શરૂઆતમાં વિકેટ ગુમાવે છે, તો કુલદીપ યાદવની બેટિંગ ઉપયોગી થઈ શકે છે. કદાચ તેથી જ તેણે કુલદીપને બેટિંગ માટે મોકલ્યો." ગાવસ્કરે સૂર્યકુમારની નવીન વિચારસરણીની પ્રશંસા કરી.
સૂર્યાની માનસિકતા અલગ છે
ભારતીય અનુભવી ખેલાડીએ કહ્યું, "તે ખૂબ જ અલગ માનસિકતા ધરાવતો કેપ્ટન છે. આપને શ્રીલંકામાં જોયું કે તેણે પોતે બોલિંગ કરી અને રિંકુ સિંહ પાસે પણ કરાવી. તેણે એક એવી મેચ પલટી જે હાથમાંથી સરકી રહી હતી અને ભારતને મેચ જીતવામાં મદદ કરી. તેની માનસિકતા અલગ છે. કદાચ એટલા માટે તેણે બેટિંગ ન કરી અને કુલદીપ અને અર્શદીપ સિંહને મેદાનમાં ઉતાર્યા."

