'સતત સિરીઝ અને વર્લ્ડ કપ જીત્યા છતાં...', T20 ટીમમાંથી બહાર થવા પર આખરે સૂર્યકુમાર યાદવે તોડ્યું મૌન

ભારતીય T20 ટીમને પોતાની કેપ્ટનશિપ હેઠળ T20 વર્લ્ડ કપ 2026માં વિજય અપાવનાર વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવે ટીમમાંથી અચાનક બાદ કરાવાના મુદ્દે આખરે પોતાનું મૌન તોડ્યું છે. પસંદગી સમિતિ દ્વારા કેપ્ટનશિપ પરથી હટાવવા અને ટીમમાંથી જ બહાર કરી દેવા અંગે સૂર્યકુમારે એક ઇન્ટરવ્યુમાં દિલ ખોલીને વાત કરી છે.
'સતત સિરીઝ અને વર્લ્ડ કપ જીત્યા છતાં નિર્ણયથી નિરાશા થઈ'
પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા સાથેની યુટ્યુબ વાતચીતમાં સૂર્યકુમાર યાદવે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ટીમની સત્તાવાર જાહેરાત થવાના 2થી 3 દિવસ પહેલાં જ અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિનો તેના પર ફોન આવ્યો હતો. સિલેક્ટર્સે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે હવે ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને આગળ વધવાનો સમય આવી ગયો છે.
સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષના ખરાબ બેટિંગ ફોર્મને કારણે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. જોકે, તેણે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, "જ્યારે તમે બે વર્ષમાં એક પણ T20 સિરીઝ હાર્યા ન હોવ, એશિયા કપ અને વર્લ્ડ કપ જીત્યા હોવ, ત્યારે અચાનક આ પ્રકારના પરિવર્તનના નિર્ણયથી થોડી નિરાશા ચોક્કસ થાય છે. મારા મગજમાં પણ એ જ પ્રશ્ન ચાલતો હતો કે જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે પરિવર્તન શા માટે?"
ટીમના નેતૃત્વ અંગે સૂર્યકુમાર યાદવે ઉમેર્યું કે, "મેં વિચાર્યું હતું કે હું 2026થી આગામી બે વર્ષ માટે આ ટીમનું નેતૃત્વ કરીશ, જેમાં ઓલિમ્પિક્સ અને પછીનો વર્લ્ડ કપ પણ સામેલ હતો. પરંતુ સિલેક્ટર્સ અને મારો વિચાર અલગ હોઈ શકે છે. તેમના નિર્ણયનો આદર કરવો જરૂરી છે."
નવા કેપ્ટન શ્રેયસ અય્યરને આપ્યો ટેકો
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે શ્રેયસ અય્યરને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ અંગે વાત કરતાં સૂર્યકુમારે કહ્યું, "હું શ્રેયસને સારી રીતે ઓળખું છું, તે એક સારો ખેલાડી અને કુશળ સુકાની છે. જો ભારતીય ટીમ અન્ય કોઈની કેપ્ટનશિપ હેઠળ પણ સારું પ્રદર્શન કરે છે તો મને કોઈ વાંધો નથી. મેં સિલેક્ટર્સને પણ સ્પષ્ટ કહ્યું હતું કે હું હંમેશા ક્રિકેટ રમવા માટે તૈયાર છું અને જ્યારે પણ ટીમ માટે મારી જરૂર પડશે ત્યારે હું ઉપલબ્ધ રહીશ."

