IND vs NZ / કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા ભારતની હારના કારણો, આ બે ખેલાડીઓના કર્યા વખાણ

ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની સદીઓના કારણે ન્યુઝીલેન્ડે ત્રીજી ODIમાં ભારતને 41 રનથી હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી. આ કિવી ટીમની ભારતમાં પહેલી ODI સિરીઝ જીત છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 337 રન બનાવ્યા હતા.
મોટા ટાર્ગેટના જવાબમાં વિરાટ કોહલીની સદી છતાં ટીમ ઈન્ડિયા 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કોહલીએ 108 બોલમાં 124 રન બનાવ્યા, જે તેની 54મી ODI સદી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયામાં બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા હર્ષિત રાણાએ તેની ODI કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી.
હર્ષિતે 43 બોલમાં 52 રન બનાવ્યા હતા. સિરીઝ હાર્યા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે હારના કારણો ગણાવ્યા. તેણે વિરાટ કોહલી અને હર્ષિતની પણ પ્રશંસા કરી હતી. આ સિવાય તેણે નીતિશ રેડ્ડીને આપવામાં આવી રહેલી તકો અંગે પણ વાત કરી હતી.
'અમારે સુધારો કરવાની જરૂર છે'
શુભમન ગિલે કહ્યું, "પહેલી મેચ જીત્યા પછી સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ હતી. વડોદરામાં મેચ પછી અમે જે રીતે રમ્યા તેનાથી અમે ખૂબ નિરાશ થયા. ઘણા ક્ષેત્રો છે જેમાં સુધારાની જરૂર છે. સકારાત્મક બાજુની વાત કરીએ તો વિરાટ કોહલીની બેટિંગ ઉત્તમ રહી છે. આ સિરીઝમાં હર્ષિત રાણાએ જે રીતે બેટિંગ કરી, નંબર 8 પર બેટિંગ કરવી સરળ નથી."
'હર્ષિતે જવાબદારી સંભાળી'
ગિલે કહ્યું, "હર્ષિતે જે રીતે જવાબદારી સંભાળી તે પ્રશંસનીય છે. ફાસ્ટ બોલર્સે આ સિરીઝમાં સારી બોલિંગ કરી. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, અમે નીતિશ રેડ્ડીને તકો આપવા માંગીએ છીએ. અમે તેને પૂરતી ઓવર આપવા માંગીએ છીએ, જેથી અમે જોઈ શકીએ કે કયા સંયોજનો અમારા માટે કામ કરે છે અને કયા પ્રકારના બોલ તેના માટે કામ કરે છે."

