IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને લાગ્યો મોટો ઝટકો! 14.20 કરોડમાં ખરીદેલો ખેલાડી થયો ઈજાગ્રસ્ત

IPL 2026ના મિની ઓકશન પછી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ ખૂબ જ સંતુલિત દેખાઈ રહી હતી. ફ્રેન્ચાઈઝીએ સુપરસ્ટાર રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સ સાથે ટ્રેડ કર્યો હતો. ત્યારબાદ તેણે ઓકશનમાં ઉત્તર પ્રદેશના યુવા સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત વીરને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે હવે પ્રશાંત ટુર્નામેન્ટના બે મહિના પહેલા ઈજાગ્રસ્ત થયો છે. આ સમાચારથી CSK મેનેજમેન્ટને મોટો ઝટકો લાગ્યો છે.
CSKને મોટો ઝટકો
રણજી ટ્રોફી 2025-26ના બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને ઝારખંડની ટીમો એકબીજા સામે આવી હતી. મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ટીમના સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ખભામાં ઈજા થઈ હતી. અહેવાલો અનુસાર, વીરને ટિયર 2 ઈજા થઈ છે, જેના કારણે તે 4થી 5 અઠવાડિયા સુધી રમતથી દૂર રહી શકે છે. આવી સ્થિતિમાં તેને IPL 2026 પહેલા ગેમ ટાઈમ નહીં મળે. પ્રશાંત હવે ફિટ થયા પછી સીધો IPLમાં જોવા મળી શકે છે. ઈજામાંથી પાછા ફરતા ખેલાડી માટે આટલા મોટા સ્ટેજ પર ડેબ્યુ કરવું સરળ નહીં હોય. CSKએ તેને રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે સાઈન કર્યો છે.
પ્રશાંત વીર શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો
આ ઈજા પહેલા પ્રશાંત વીર બેટ અને બોલ બંનેથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો. વિજય હજારે ટ્રોફી 2025-26માં પણ પ્રશાંતે તેના શાનદાર પ્રદર્શન કરીને CSKની આશા જગાવી હતી, પરંતુ તેની ઈજાએ સમસ્યા વધારી દીધી છે. પ્રશાંત પહેલા કાર્તિક શર્માને પણ ઈજા થઈ હતી, પરંતુ તે હવે સંપૂર્ણપણે ફિટ છે અને મેદાનમાં પાછો ફર્યો છે. CSK, જેનું ગઈ સિઝનમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું, તે IPL 2026માં મજબૂત વાપસી કરવા માંગે છે.

