Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : These 4 mysterious stories of Kanha, knowing Runda will rise

કાન્હાની આ 4 રહસ્યમય કથાઓ, જાણીને રુંવાડા ઊભા થઈ જશે

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2026
લાઇવ ટીવીGoogle News
કાન્હાની આ 4 રહસ્યમય કથાઓ, જાણીને રુંવાડા ઊભા થઈ જશે
સોર્સ : gstv

Unheard Mysteries And Divine Tales Of Lord Krishna On Janmashtami: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એ માત્ર કાન્હાના જન્મોત્સવનો તહેવાર નથી, પરંતુ તેમની અદ્ભુત લીલાઓ, ગૂઢ સંદેશાઓ અને દિવ્ય પ્રેમને પુનઃ સ્મરણ કરવાનો એક અત્યંત પવિત્ર અવસર છે. શ્રાવણ વદ આઠમના પાવન દિવસે જ્યારે ઘરે-ઘરે બાલગોપાલની મનોહર છબિ જીવંત બને છે, ત્યારે તેમની બાળલીલાઓ અને જીવનના અનેક અણસ્પર્શ્યા પાસાંઓ હૃદયને આનંદિત કરી દે છે. શ્રીકૃષ્ણનું જીવન માત્ર મહાભારતના યુદ્ધક્ષેત્ર કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશો પૂરતું સીમિત નથી, પરંતુ તેમની એવી કેટલીય પૌરાણિક કથાઓ અને લોકમાન્યતાઓ છે જે ખૂબ ઓછા લોકો જાણે છે.

App Store

માતા યશોદા કાન્હાને છોકરીની જેમ કેમ શણગારતા હતા?

બાળપણમાં માતા પોતાના પુત્રને છોકરીની જેમ તૈયાર કરે તેવી ઘટના સામાન્ય હોય છે, પરંતુ આ પરંપરા પાછળ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક રસપ્રદ માન્યતા રહેલી છે. કથા મુજબ, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો અને તેમને ગોકુળમાં માતા યશોદા પાસે પહોંચાડવામાં આવ્યા, ત્યારે કંસ તેમને મારી નાખવા સતત પ્રયાસો કરી રહ્યો હતો. કંસે ક્યારેક પૂતનાને મોકલી તો ક્યારેક બકાસુર સહિત અન્ય દાનવોને બાળગોપાલનો વધ કરવા મોકલ્યા. આવી નકારાત્મક શક્તિઓ અને રાક્ષસોથી પોતાના વહાલા કાન્હાની રક્ષા કરવા માટે માતા યશોદા તેમને ક્યારેક-ક્યારેક નાની છોકરીના રૂપમાં શણગારતા હતા, જેથી કોઈ રાક્ષસ તેમને ઓળખી ન શકે અને તેમને નુકસાન ન પહોંચાડી શકે. આ જ માન્યતાને કારણે આજે પણ નાના બાળકોને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવવા કાળો ટીકો કરવા ઉપરાંત ઘણી જગ્યાએ છોકરીની જેમ શણગારવાની પરંપરા પ્રચલિત છે.

શ્રીકૃષ્ણ વાનરોને માખણ કેમ ખવડાવતા હતા?

બાળપણમાં શ્રી કૃષ્ણ ગોપીઓના ઘરેથી માખણ ચોરીને પોતાના મિત્રો-ગોવાળો સાથે વહેંચીને ખાતા હતા તે કથા જાણીતી છે, પરંતુ તેઓ માખણ વાંદરાઓને પણ ખવડાવતા હતા. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પૂર્વ અવતાર એટલે કે ભગવાન શ્રીરામનું પૂર્ણ સ્મરણ હતું. ત્રેતાયુગમાં જ્યારે ભગવાન રામ માતા સીતાની શોધ કરી રહ્યા હતા અને રાવણ સામે ધર્મયુદ્ધ લડી રહ્યા હતા, ત્યારે વાનર સેનાએ તેમનો સાથ આપ્યો હતો અને મોટી સહાયતા કરી હતી. વાંદરાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને વિશેષ સ્નેહભાવ દર્શાવવા માટે શ્રીકૃષ્ણ ગોકુળમાં વાનરોને પ્રેમથી માખણ ખવડાવતા હતા. આ પ્રસંગ ભગવાનના બે અલગ-અલગ અવતારો વચ્ચેના દિવ્ય પ્રેમ અને સંબંધનું અદ્ભુત પ્રતીક છે.

જ્યારે ગુરુદક્ષિણા માટે શ્રીકૃષ્ણ સમુદ્રના ઊંડાણમાં ઉતર્યા

યમુના નદીમાં કાલિયા નાગનું દમન કરવાની કથા ઉપરાંત, શ્રીકૃષ્ણ અન્ય એક પ્રસંગે સમુદ્રના અતિ ઊંડાણમાં ઉતર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે ઉજ્જૈનમાં મહર્ષિ સાંદીપનિના આશ્રમમાં રહીને તમામ વેદ-શાસ્ત્રો અને વિદ્યાઓનું અધ્યયન કર્યું હતું, જ્યાં તેમની મિત્રતા સુદામા સાથે પણ થઈ હતી. જ્યારે શિક્ષણ પૂરું થયું, ત્યારે શ્રીકૃષ્ણ ગુરુ સાંદીપનિ સમક્ષ ઉપસ્થિત થયા અને ગુરુદક્ષિણા માંગવા માટે આગ્રહ કર્યો. ગુરુએ પહેલાં તો કંઈપણ માંગવાની ના પાડી, પરંતુ કૃષ્ણના વારંવારના આગ્રહ બાદ તેમણે પોતાના ગુમ થયેલા પુત્રને પાછો લાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

ગુરુનો પુત્ર સમુદ્ર કિનારે ગયો હતો અને ત્યાંથી રહસ્યમય રીતે લાપતા થઈ ગયો હતો. શ્રીકૃષ્ણ સમુદ્ર પાસે પહોંચ્યા અને પૂછપરછ બાદ સમુદ્રના ઊંડાણમાં ઉતરી ગયા. ત્યાં તેમનો સામનો પંચજન નામના અસુર સાથે થયો. પૌરાણિક કથા અનુસાર, શ્રીકૃષ્ણએ તે અસુર સાથે ભીષણ યુદ્ધ કર્યું, યમલોક સુધી પહોંચ્યા અને ગુરુપુત્રને સુરક્ષિત પાછો લાવીને ગુરુ સાંદીપનિના ચરણોમાં સોંપી પોતાની ગુરુદક્ષિણા પૂરી કરી.

રાધારાણીએ શ્રીકૃષ્ણના માથાના દુખાવા માટે પોતાના પગની ધૂળ મોકલી

એક વખત દ્વારિકામાં શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય તૈયારીઓ ચાલી રહી હતી. ચારેય બાજુ આનંદ-ઉત્સવ, નાચ-ગાન અને પકવાનો બની રહ્યા હતા, પરંતુ શ્રીકૃષ્ણ આ ઉત્સવમાં સામેલ ન થયા અને ઉદાસ બેસી રહ્યા. રુક્મિણીએ જઈને કારણ પૂછતાં કૃષ્ણએ જણાવ્યું કે તેમના માથામાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. શ્રીકૃષ્ણએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ જે તેમને સાચો પ્રેમ કરતી હોય, તે પોતાના પગની ધૂળ તેમના માથા પર લગાવી દે તો તેમનો દુખાવો તરત મટી શકે છે. આ સાંભળીને રુક્મિણી, સત્યભામા અને દેવર્ષિ નારદજી પણ સ્તબ્ધ થઈ ગયા. તેઓ પ્રભુને અનહદ પ્રેમ કરતા હોવા છતાં ભગવાનના મસ્તક પર પોતાના પગની ધૂળ મૂકવા તૈયાર ન થયા, કારણ કે તેમને લાગ્યું કે આવું કરવાથી પ્રભુનું અપમાન થશે અને તેમને ઘોર પાપ લાગશે.

આ વાત જ્યારે વૃંદાવનમાં રાધારાણી અને ગોપીઓ સુધી પહોંચી, ત્યારે તેમણે એક ક્ષણનો પણ સંકોચ કર્યા વિના પોતાની ચરણ રજ આપવાનો નિર્ણય કર્યો. રાધારાણીએ પોતાની સાડીનો પાલવ જમીન પર પાથરી દીધો અને ગોપીઓને તેના પર ચાલવા-નૃત્ય કરવા કહ્યું, જેથી કાપડ પર પગની ધૂળ લાગી જાય. ત્યારબાદ તેમણે તે ધૂળવાળું વસ્ત્ર નારદ મુનિને સોંપતાં કહ્યું કે આ લઈ જઈને તરત શ્રીકૃષ્ણના માથે બાંધી દો. નારદજીએ જેવો તે પાલવ કૃષ્ણના મસ્તક પર મૂક્યો કે તરત જ તેમનો દુખાવો ગાયબ થઈ ગયો. ત્યારે શ્રીકૃષ્ણએ સૌને સમજાવ્યું કે સાચા પ્રેમમાં ભય, સ્વાર્થ કે પોતાના પરિણામ/પાપ-પુણ્યની ચિંતા હોતી નથી. રાધારાણી અને ગોપીઓને પોતાને નરક મળશે કે દંડ થશે તેની ચિંતા નહોતી, તેમના માટે માત્ર શ્રીકૃષ્ણનું સુખ જ સર્વોપરી હતું. આ કથા નિઃસ્વાર્થ પ્રેમ અને પૂર્ણ સમર્પણનું સૌથી મોટું ઉદાહરણ છે.