Religion: સ્વસ્તિકની બંને બાજુ શા માટે દોરવામાં આવે છે બે સીધી રેખાઓ? જાણો એનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ

સનાતન ધર્મમાં સ્વસ્તિકને અત્યંત પવિત્ર અને મંગળકારી પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃતમાં 'સ્વસ્તિક'નો અર્થ 'શુભ' કે 'કલ્યાણકારી' થાય છે. હિન્દુ ઘરોમાં મુખ્ય પ્રવેશદ્વાર, મંદિર કે પૂજાના સ્થાન પર સકારાત્મક ઊર્જા આકર્ષવા માટે સ્વસ્તિક બનાવવાની પ્રાચીન પરંપરા છે.
સામાન્ય રીતે આપણે સ્વસ્તિક દોરતી વખતે તેની બંને બાજુ બે-બે સીધી ઊભી રેખાઓ (સુભ-લાભની રેખાઓ) પણ દોરીએ છીએ. આ રેખાઓ માત્ર સુશોભન નથી, પરંતુ તેની પાછળ ગહન ધાર્મિક અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે.
ચાર પુરુષાર્થનું પ્રતીક
સ્વસ્તિકની બંને બાજુ આવેલી ચાર રેખાઓ માનવ જીવનના ચાર મૂળભૂત લક્ષ્યો એટલે કે ચાર પુરુષાર્થો દર્શાવે છે:
-
ધર્મ: નીતિ અને સત્યના માર્ગ પર ચાલવું.
-
અર્થ: સન્માર્ગે અને મહેનતથી ધન-સંપત્તિ કમાવી.
-
કામ: ધર્મના ચોકઠામાં રહીને સદ-ઈચ્છાઓની પૂર્તિ કરવી.
-
મોક્ષ: અંતિમ મુક્તિ અને પરમાત્મા તરફનો માર્ગ.
આ રેખાઓ આપણને સંદેશ આપે છે કે મનુષ્યએ આ ચારેય પુરુષાર્થો વચ્ચે સંતુલન જાળવવું જોઈએ.
ચાર વેદોનું પ્રતીક
આ ચાર રેખાઓ સનાતન ધર્મના પાયાના સ્તંભ સમાન ચાર વેદોનું પણ પ્રતિનિધિત્વ કરે છે:
-
ઋગ્વેદ
-
યજુર્વેદ
-
સામવેદ
-
અથર્વવેદ
સ્વસ્તિકની સાથે આ રેખાઓ દોરવાનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના જીવનમાં વેદોના જ્ઞાન અને ઉપદેશોને સ્વીકારે, જેથી તેનું આધ્યાત્મિક અને વ્યવહારિક જીવન મજબૂત બને.
ચાર દિશાઓ અને ચાર યુગ
શાસ્ત્રો અનુસાર, આ ચાર રેખાઓ ચારેય દિશાઓ (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ) અને ચારેય યુગો (સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ)નું પ્રતીક ગણાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરના દ્વાર પર સ્વસ્તિક હોવાથી ચારેય દિશાઓમાંથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ ઘરમાં પ્રવેશે છે.
રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભનું પ્રતીક
સ્વસ્તિકને વિઘ્નહર્તા ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્વસ્તિકની બંને બાજુ દોરેલી બે-બે ઊભી રેખાઓ ભગવાન ગણેશજીની બે પત્નીઓ (રિદ્ધિ અને સિદ્ધિ) તથા તેમના બે પુત્રો (શુભ અને લાભ)નું પ્રતીક છે. આ કારણોસર કોઈપણ શુભ કાર્ય કે પૂજા-વિધિની શરૂઆત સ્વાસ્તિક આલેખીને જ કરવામાં આવે છે.
તેમજ, સ્વસ્તિકનું મધ્યબિંદુ ભગવાન વિષ્ણુનું નાભિકમળ માનવામાં આવે છે. દરરોજ સવારે સ્વાસ્તિકના દર્શન કરવાથી દિવસ શુભ અને સફળ રહે છે.
નકારાત્મક ઊર્જાથી રક્ષણ
શાસ્ત્રો મુજબ, સ્વસ્તિક હંમેશાં યોગ્ય અને શુદ્ધ રીતે દોરાયેલું હોવું જોઈએ. ક્યારેય ઊંધું કે અપૂર્ણ સ્વસ્તિક ન દોરવું જોઈએ. સંપૂર્ણ અને વિધિવત દોરેલું સ્વસ્તિક ઘરને નકારાત્મક ઊર્જા અને ખરાબ નજરથી બચાવે છે તથા સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે. સ્વસ્તિક માત્ર એક ધાર્મિક ચિહ્ન નથી, પરંતુ તે જીવન જીવવાનો એક ઉત્તમ સંદેશ છે. તેની બંને બાજુની રેખાઓ આપણને સન્માર્ગ, જ્ઞાન, વાસ્તુ સંતુલન અને સમૃદ્ધિની યાદ અપાવે છે.

