Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Arabian sea where self bathes Shivlinga: Here lies a unique abode of nature and faith

VIDEO: અરબી સમુદ્ર જ્યાં સ્વયં કરે છે શિવલિંગ પર જળાભિષેક: અહીં આવેલું છે પ્રકૃતિ અને આસ્થાનું અનોખું ધામ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં શિવલિંગ પર જળાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતની પડખે એક એવી જગ્યા પણ છે જ્યાં પાંચ એવા શિવલિંગ છે, જેમનો અભિષેક ખુદ સમુદ્ર દેવ કરે છે. ગંગેશ્વર મહાદેવ મંદિર કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ફુદમ ગામ પાસે અરબી સમુદ્રના કિનારે આવેલું છે. દીવ શહેરથી આ મંદિર લગભગ ત્રણ કિલોમીટરના અંતરે છે. સમુદ્ર કિનારાના ખડકો વચ્ચે આવેલું આ મંદિર કદમાં ભલે ભવ્ય ન હોય, પરંતુ તેની અનોખી વિશેષતાને કારણે ખૂબ જ ખાસ છે.

App Store

પાંડવોએ સ્થાપિત કર્યા હતા પાંચ શિવલિંગ

અહીં ભગવાન શિવના પાંચ શિવલિંગ એકસાથે બિરાજમાન છે અને આ જ આ સ્થાનની સૌથી મોટી ઓળખ છે. સ્થાનિક માન્યતા અને ધાર્મિક પરંપરા અનુસાર, મહાભારત કાળમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંચ પાંડવો આ વિસ્તારમાં આવ્યા હતા. પાંડવોએ અહીં ભગવાન શિવની આરાધના કરી અને પાંચ શિવલિંગની સ્થાપના કરી. કહેવાય છે કે પાંચેય શિવલિંગનો આકાર અલગ-અલગ છે. માન્યતા અનુસાર પહેલું શિવલિંગ યુધિષ્ઠિર, બીજું ભીમ, ત્રીજું અર્જુન, ચોથું સહદેવ અને પાંચમું નકુળ સાથે જોડાયેલું છે. પાંડવોએ પોતાની ઊંચાઈ (કદ) મુજબ આ શિવલિંગ બનાવ્યા હતા.

ભરતીના સમયે સમુદ્ર કરે છે કુદરતી અભિષેક

ગંગેશ્વર મહાદેવ મંદિર સમુદ્રની ખૂબ જ નજીક આવેલું છે. જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે અરબી સમુદ્રના મોજાં ખડકો વચ્ચેથી આગળ વધે છે અને શિવલિંગ સુધી પહોંચી જાય છે. સમુદ્રનું પાણી શિવલિંગને સ્પર્શ કરે છે અને આ રીતે ભગવાન શિવનો કુદરતી જળાભિષેક થાય છે. મોજાં આવે છે, શિવલિંગને સ્પર્શ કરે છે અને ફરી સમુદ્રમાં સમાઈ જાય છે. આ દ્રશ્ય ભક્તો માટે અત્યંત આધ્યાત્મિક અને અદ્ભુત અનુભવ હોય છે.

ઓટના સમયે સ્પષ્ટ દેખાય છે પાંચેય શિવલિંગ

જ્યારે સમુદ્રમાં ઓટ આવે છે ત્યારે પાણીનું સ્તર નીચે ઉતરી જાય છે અને ખડકો વચ્ચે આવેલા પાંચેય શિવલિંગ વધુ સ્પષ્ટ રીતે દેખાય છે. આ જ કારણે અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે ભરતી અને ઓટના સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એક તરફ વિશાળ અરબી સમુદ્ર, બીજી તરફ કુદરતી ખડકો અને આ બધાની વચ્ચે ભગવાન શિવના પવિત્ર શિવલિંગ. સમુદ્રના મોજાંનો અવાજ અને હર-હર મહાદેવના નાદથી અહીંનું વાતાવરણ ભક્તિમય બની જાય છે.

પ્રકૃતિ અને આસ્થાનો અદ્ભુત સંગમ

શ્રાવણ માસ અને મહાશિવરાત્રી જેવા પવિત્ર અવસરો પર અહીં શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા જોવા મળે છે. ભક્તો ભગવાન શિવને જળ, બિલીપત્ર અને ફૂલ અર્પણ કરીને પૂજા-અર્ચના કરે છે. ગંગેશ્વર મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ પ્રકૃતિ અને આસ્થાના અદ્ભુત સંગમનું પણ પ્રતિક છે. દીવ આવતા પ્રવાસીઓ માટે સમુદ્ર કિનારો, કુદરતી ખડકો અને સમુદ્ર વચ્ચે આવેલું આ અનોખું મંદિર એક અલગ જ અનુભવ પૂરો પાડે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News