વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં બોટ પલટી, એક ખલાસીનું મોત, ત્રણનું રેસ્ક્યૂ

ગીર સોમનાથ વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં બોટ દુર્ઘટનામાં એક માછીમારનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. માછીમારી કરીને પરત ફરતી વખતે ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડેડ હોવાના કારણે પટલી મારી ગઈ હતી. જેમાં એક ખલાસીનું ડૂબવાથી મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ ખલાસીને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં ગત 4 ડિસેમ્બરના રોજ વેરાવળ જાલેશ્વરથી 2 નોટિકલ માઈલ સમુદ્રમાં 'શ્રી ભવાની કૃપા' નામની બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમાં માછીમારી કરીને પરત આવતા ખલાસીની બોટમાં ઓવરલોડ થવાના કારણે પટલી હતી. જેમાં માછલી પકડવાની જાળમાં ફસાઈ જવાથી અને ઢગલા નીચે દટાવાથી અરવિંદ ભારાવાલા નામના ખલાસીનું મોત થયું હતું.
સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જાળમાં બહોળા પ્રમાણમાં માછલી આવતા બોટ ઓવરલોડેડ હોવાના કારણે પલટી હતી. આ દુર્ઘટનામાં બોટમાં સવાર અન્ય ત્રણ ખલાસીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. એક ખલાસીના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

