250 વર્ષ પહેલા વડોદરાના રાજવી પરિવારે બંધાવ્યું હતું આ અનોખું શિવમંદિર, જાણો ‘છત્રપતેશ્વર મહાદેવ’નો ઇતિહાસ

Chattrapateshwar Mahadev: પાટણ જિલ્લામાં આવેલું ‘છત્રપતેશ્વર મહાદેવ’નું શિવાલય વડોદરાના રાજવી પરિવારે બંધાવ્યું છે. આ શિવાલય બનાવવા માટે અલગ અલગ રંગના પથ્થરોની છત્રી જેવો આકાર બનાવવામાં આવ્યો હતો, તેથી તેને ‘છત્રપતેશ્વર મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ આ શિવાલયના ઇતિહાસની રોચક ગાથા….
શું છે પૌરાણિક કથા?
વર્ષ 1773માં સંવત 1829માં પ્રથમ સયાજીરાવ ગાયકવાડે દામાજીરાવની યાદમાં આ શિવાલય બંધાવ્યું હતું. તે સમયે અંદાજે 25 હજાર રૂપિયા જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ મંદિરની સ્થાપત્ય શૈલી દક્ષિણ ભારતના મંદિરોને મળતી આવે છે. મંદિરના નિર્માણ વખતે પથ્થર અને ચૂનાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં 36 થાંભલા તેમજ રાજવી પરિવારનું મંદિર છે અને મંદિરનો તમામ વહીવટ વડોદરાના રાજપરિવાર દ્વારા કરવામાં આવે છે.

આ મંદિર કલા-કારીગરોનો અદ્ભુત સમન્વય
ગુજરાતમાં સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર કલા કારીગરીનો બેનમૂન નમૂનો છે. બગીચાની મધ્યમાં મંદિર યોગ્ય ઉંચાઈ ઉપર બનાવવામાં આવ્યું છે. છાયા મંડપમાં ગોપ-ગોપીઓ, રાસક્રીડાની સુંદર કલાકૃતિઓ જોવા મળે છે. આ મંદિરમાં ભગવાન સદાશિવના સંપૂર્ણ પરિવારના દર્શન થાય છે. તેમાં ભોળાનાથ, માતા પાર્વતી, ગણપતિ અને કાર્તિકેય સ્વામીના એકસાથે દર્શન કરી શકાય છે. તેથી આ મંદિરનું વિશેષ મહત્વ છે.

અહીંના રમણીય અને આહ્લાદક વાતાવરણ વચ્ચે શિવભકતો શિવ આરાધનામાં લીન બની જાય છે. પૌરાણિક છત્રપતેશ્વર મંદિરમાં શિવરાત્રીએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટે છે.


