VIDEO: વડોદરાના સાવલીમાં મનરેગાના જોબ કાર્ડમાં કરોડોના કૌભાંડના આક્ષેપ, 374 કાર્ડમાં ગેરરીતિનો દાવો
વડોદરાના સાવલી તાલુકાના રાનીપુરા ગામે મનરેગા યોજનાના જોબ કાર્ડમાં કથિત ગેરરીતિનો મોટો આક્ષેપ સામે આવ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ પૂર્વ સરપંચ, વીસી ઓપરેટર સહિત કેટલાક મળતિયાઓની મિલીભગતથી મનરેગાના જોબ કાર્ડમાં ગેરરીતિ કરી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાનીપુરા ગામમાં કુલ 374 જેટલા જોબ કાર્ડમાં લાભાર્થીઓના નામ અને ફોટા સાથે ચેડાં કરી અન્ય વ્યક્તિઓના નામ તથા ફોટા લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગાર લોકોને વર્ષ દરમિયાન 100 દિવસ સુધી રોજગાર આપવાની જોગવાઈ છે અને તેના બદલામાં સરકાર દ્વારા લાભાર્થીઓને મહેનતાણું ચૂકવવામાં આવે છે.
આસીસ્ટન્ટ પ્રોગ્રામરના ઉડાઉ જવાબ
ગ્રામજનોનો આક્ષેપ છે કે રાનીપુરા ગામમાં કેટલાક એવા લોકોના પણ મનરેગાના જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે, જેઓ સરકારી નોકરી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા હોવાનું જણાવાઈ રહ્યું છે. આથી સમગ્ર મામલે જોબ કાર્ડ, હાજરી અને મહેનતાણાની ચૂકવણી સહિતના રેકોર્ડની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મામલે સાવલી તાલુકા પંચાયતના મનરેગા વિભાગના આસીસ્ટન્ટ પ્રોગ્રામર ધર્મેશને મીડિયા દ્વારા સવાલો કરવામાં આવતા તેમના તરફથી સંતોષકારક જવાબ ન મળ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતના રજીસ્ટરમાં મનરેગા સંબંધિત એન્ટ્રી પર APO તરીકે ધર્મેશની સહી હોવાનું પણ સામે આવ્યું છે.
હવે સમગ્ર મામલે મનરેગાના જોબ કાર્ડ, લાભાર્થીઓના નામ-ફોટા, કામની હાજરી, ચુકવાયેલા મહેનતાણા અને ગ્રામ પંચાયતના રેકોર્ડની તટસ્થ તપાસ થાય તો જ કથિત ગેરરીતિની હકીકત બહાર આવી શકે તેમ છે. ગ્રામજનો દ્વારા જવાબદારો સામે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

