Recipe: હવે કારેલાનું શાક જરાય કડવું નહીં લાગે; બાળકો પણ ખાશે ખુશીથી, નોંધી લો રીત

કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે, પરંતુ તેની કડવાશને કારણે ખાસ કરીને બાળકોને ભાવતા નથી અને ખાવાનું ટાળે છે. જોકે, જો તમે અહીં આપેલી ટિપ્સ ફોલો કરીને શાક બનાવશો, તો તે કડવું નહીં પણ સ્વાદિષ્ટ અને ખાટું-મીઠું બનશે.
કારેલાની કડવાશ કેવી રીતે દૂર કરવી?
સૌ પ્રથમ કારેલાને ધોઈને તેની છાલ ઉતારી લો. હવે તેના પર સરખી રીતે મીઠું લગાવીને ૧૦ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો. આ દેશી નુસખાથી કારેલાની કડવાશ ઘણી ઓછી થઈ જશે.
બનાવવાની રીત
સ્ટેપ ૧:
* કારેલાને લાંબા અથવા ગોળ આકારમાં કાપી લો.
* ૨ મધ્યમ કદની ડુંગળીને લાંબી અને જાડી સમારી લો.
* ૩-૪ કળી લસણ અને ૧ લીલું મરચું ઝીણું સમારી લો.
સ્ટેપ ૨:
* કઢાઈમાં સરસવનું તેલ ગરમ કરો. તેમાં સૌથી પહેલા વરિયાળી ઉમેરો.
* વરિયાળી તતડે એટલે લસણ, લીલું મરચું અને ચપટી હળદર નાખો.
* હવે સમારેલા કારેલા અને ડુંગળી ઉમેરીને તેજ આંચ પર થોડીવાર સતત હલાવતા રહો.
* ત્યારબાદ તેમાં ધાણાજીરું પાવડર, મીઠું અને જરૂર મુજબ લાલ મરચું પાવડર ઉમેરો.
સ્ટેપ ૩:
* શાકને મીડિયમ આંચ પર ચઢવા દો. તેને થોડીવાર ઢાંકી દો જેથી તે જલ્દી ચડી જાય.
* જ્યારે કારેલા ચડી જાય, ત્યારે તેમાં ૧ નાની ચમચી ખાંડ અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરો.
* શાક સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ચડવા દો.
નોંધ: કારેલાની કડવાશ દૂર કરવા માટે મીઠું લગાવી રાખવું એ શ્રેષ્ઠ ઉપાય છે. સાથે જ વરિયાળી, ડુંગળી, ખાંડ અને આમચૂર પાવડર આ શાકના સ્વાદને સંતુલિત કરે છે અને કડવાશ ઘટાડે છે.

