VIDEO : Health News/ શરીરમાં દેખાતા આ 6 સામાન્ય લક્ષણો કેન્સરની શરૂઆત, સમયસર ઓળખ જ છે બચાવનો સાચો રસ્તો

ભારતમાં કેન્સરના કેસોમાં દર વર્ષે ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચ (NICPR)ના રિપોર્ટ અનુસાર, દર વર્ષે 14 થી 16 લાખ નવા કેસ સામે આવે છે. કેન્સરના ઘણા પ્રકારો છે જેમાં બ્લડ, ફેફસાં અને માઉથ (મોંનું) કેન્સર સૌથી સામાન્ય છે. આ સિવાય લોકોમાં પેટનું કેન્સર પણ વધી રહ્યું છે, કારણ કે ખરાબ ખાનપાન અને બગડેલી લાઈફસ્ટાઈલ મોટાભાગના લોકોના જીવનનો હિસ્સો બની ગઈ છે. શું તમે જાણો છો કે આપણું શરીર એવા ઘણા સંકેતો આપે છે જે કેન્સર સાથે સંબંધિત હોઈ શકે છે? તેને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે.
વાસ્તવમાં, કેન્સરના પ્રારંભિક લક્ષણો કેટલીકવાર એટલા સામાન્ય હોય છે કે લોકો તેને ગેસ, ઈન્ફેક્શન, શરદી-ઉધરસ અથવા ઉંમર સંબંધિત સમસ્યા સમજીને અવગણીએ છે. પરંતુ સમયસર ઓળખ ન થવાને કારણે કેન્સર શરીરમાં ફેલાઈ શકે છે અને તેની સારવાર મુશ્કેલ બની શકે છે. જો શરીરમાં કેટલીક સમસ્યાઓ વારંવાર થઈ રહી હોય, તો તે કેન્સરની નિશાની હોઈ શકે છે.
નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ કહે છે કે દર વર્ષે કેન્સરના કેસોમાં 12 થી 28 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે આજે દર 9માંથી 1 વ્યક્તિને કોઈને કોઈ પ્રકારનું કેન્સર થવાની સંભાવના રહેલી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, શરીરમાં થતા કેટલાક ફેરફારો કેન્સરના પ્રારંભિક સંકેત હોઈ શકે છે. આ લક્ષણોને લાંબા સમય સુધી નજરઅંદાજ ન કરવા જોઈએ.
મળ અથવા પેશાબની આદતોમાં ફેરફાર
જો લાંબા સમય સુધી કબજિયાત, ડાયરિયા (ઝાડા), વારંવાર પેશાબ થવો અથવા પેશાબની આદતોમાં ફેરફાર રહેતો હોય, તો આ માત્ર ખાનપાનની સમસ્યા ન હોઈ શકે. ડો. જણાવે છે કે કેટલાક કિસ્સાઓમાં આ આંતરડા અથવા મૂત્ર માર્ગ સાથે સંબંધિત કેન્સરનો સંકેત પણ હોઈ શકે છે.
એવો ઘા જે રૂઝાતો ન હોય
ત્વચા પર થયેલો ઘા, મોંમાં ચાંદું અથવા કોઈ પણ જખમ જો લાંબા સમય સુધી ઠીક ન થતો હોય, તો તેને હળવાશથી ન લેવો જોઈએ. આ સ્કીન (ત્વચા) અથવા મોંના કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
અસામાન્ય રક્તસ્ત્રાવ (બ્લીડિંગ) કે ડિસ્ચાર્જ
ઉધરસ ખાતી વખતે લોહી આવવું, મળમાં લોહી દેખાવું કે મહિલાઓમાં અસામાન્ય રક્તસ્ત્રાવ જેવી સમસ્યાઓ ગંભીર સંકેત હોઈ શકે છે. નિષ્ણાતોના મતે આવા કિસ્સામાં તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.
શરીરમાં ગાંઠ અથવા સોજો
બ્રેસ્ટ (સ્તન), ગરદન અથવા શરીરના અન્ય કોઈ ભાગમાં નવી ગાંઠ કે જાડાપણું અનુભવાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કેન્સરની શરૂઆતની ગાંઠોમાં અવારનવાર દુખાવો થતો નથી, તેથી દુખાવો ન થવો એ સુરક્ષિત હોવાની નિશાની નથી.
લાંબા સમય સુધી અપચો કે ગળવામાં તકલીફ
વારંવાર અપચો થવો, પેટ ભરેલું લાગવું અથવા ખોરાક ગળવામાં પડતી મુશ્કેલીને લોકો અવારનવાર એસિડિટી સમજી લે છે. પરંતુ આ પેટ અથવા અન્નનળીના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે.
સતત ઉધરસ કે અવાજ બેસી જવો
જો અઠવાડિયા સુધી ઉધરસ ચાલુ રહે અથવા અવાજમાં ફેરફાર (ઘોઘરો અવાજ) આવે, તો તેની તપાસ કરાવવી જોઈએ. ડો.ના જણાવ્યા અનુસાર, આ ફેફસાં, ગળા અથવા થાઇરોઇડ કેન્સર સાથે જોડાયેલ સંકેત હોઈ શકે છે.
સમયસર તપાસ બચાવી શકે છે જીવ
ડો. કહે છે કે કેન્સરના મોટાભાગના કિસ્સાઓમાં, જો શરૂઆતમાં જ ઓળખ થઈ જાય તો સારવારના વિકલ્પો વધી જાય છે અને દર્દીના સાજા થવાની શક્યતા પણ ઘણી સારી થઈ જાય છે. તેથી, શરીરમાં થતા કોઈપણ અસામાન્ય ફેરફારને નજરઅંદાજ ન કરો અને જરૂર પડે ત્યારે ડોક્ટરની સલાહ લો.
નોંધ : આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

