Health News : શું તમે પણ રાત્રે આ ભૂલ કરો છો? તો આખી રાત ઊંઘ નહીં આવે!

આજની ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલમાં લોકો પોતાના હેલ્થ પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે. ખાવા-પીવાની નાની-નાની આદતો પર પણ હવે ઝીણવટભર્યું ધ્યાન આપવામાં આવે છે. આવી જ એક આદત છે 'રાત્રે સૂતા પહેલા પાણી પીવું'. ઘણા લોકો શરીરને હાઇડ્રેટ રાખવા માટે રાત્રે ભરપૂર પાણી પીને સૂવે છે, જ્યારે કેટલાક લોકો ઊંઘ બગડવાના ડરથી રાત્રે પાણી પીવાનું ટાળે છે. ત્યારે સવાલ એ થાય કે સૂતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય છે? નિષ્ણાતોના મતે, આનો કોઈ એક સીધો જવાબ નથી, પણ તે વ્યક્તિની ઉંમર, દિનચર્યા અને શારીરિક સ્થિતિ પર આધાર રાખે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સૂતા પહેલા લગભગ 100થી 200 મિલીલીટર જેટલું પાણી કે બીજું હળવું પ્રવાહી લેવું સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે. આ માત્રા શરીરને રાતભર ડિહાઇડ્રેશનથી બચાવવામાં મદદ કરી શકે છે, જ્યારે આનાથી વારંવાર વોશરૂમ જવાની શક્યતા પણ ઓછી રહે છે. જો કોઈ વ્યક્તિ દિવસભર પૂરતું પાણી પીવે છે, તો રાત્રે વધારાના પ્રવાહીની જરૂર નથી. આ ઉપરાંત વધારે પડતું પાણી પીવાથી ઊંઘની ગુણવત્તા પર ખરાબ અસર પડી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, સૂતા પહેલા ચા, કોફી, એનર્જી ડ્રિંક કે કેફીન યુક્ત પીણાંઓનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ. કેફીન મગજને સક્રિય રાખે છે, જેનાથી ઊંઘ આવવામાં મોડું થઈ શકે છે. આ ઉપરાંત આ પીણાં વારંવાર પેશાબની સમસ્યા પણ વધારી શકે છે. ઘણા લોકોમાં મોડી રાત્રે કેફીન લેવાથી બેચેની, હૃદયના ધબકારા ઝડપી થવા અને સવાર સુધી થાક અનુભવાવા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે.
જરૂરિયાત કરતાં વધુ પાણી કે બીજા પ્રવાહી પદાર્થો લેવાથી રાત્રે વારંવાર ઊંઘ બગડી શકે છે. આનાથી શરીરની નેચરલ સ્લીપ સાયકલ (ઊંઘનું ચક્ર) પ્રભાવિત થાય છે અને આગલી સવારે થાક, ચિડચિડાપણું તેમજ એકાગ્રતાનો અભાવ અનુભવાઈ શકે છે. સતત ખરાબ ઊંઘની અસર માનસિક સ્વાસ્થ્ય, કાર્યક્ષમતા અને ઊર્જાના સ્તર પર પણ પડી શકે છે. કેટલાક લોકોને પેટ ભારે લાગવું, ગેસ કે અસ્વસ્થતા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
નિષ્ણાતો માને છે કે, શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે પરંતુ તેનો સાચો સમય અને સાચી માત્રા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. દિવસભર પૂરતું પાણી પીવું અને રાત્રે મર્યાદિત માત્રામાં પ્રવાહી લેવું એ વધુ સારી આદત માનવામાં આવે છે. સંતુલિત રીતે પાણી પીવાથી શરીરની કાર્યપ્રણાલી સુચારુ ચાલે છે અને ઊંઘ પણ પ્રભાવિત થતી નથી. સ્વાસ્થ્ય માટે માત્ર વધુ પાણી પીવું જ જરૂરી નથી પરંતુ સાચા સમયે સાચી માત્રા લેવી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
નોંધ: આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

