VIDEO: "સત્તામાં છો એટલે હિંસા કરશો? આ આજકાલ નવી ફેશન બની ગઈ છે!" મણિપુરી આર્ટિસ્ટની હત્યા પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર
મણિપુરી સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહ (વિકી) ની સ્મૃતિમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સંગીતકારની હત્યા સામે ભારે દુઃખ અને રોષ વ્યક્ત કરતાં સમાજમાં વધી રહેલી નફરત અને હિંસાની માનસિકતા પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "એક યુવાનની હત્યા થઈ તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. પરંતુ સૌથી મોટી કરુણાંતિકા એ છે કે તે ક્યાંથી આવે છે (તેની ઓળખ અને ક્ષેત્ર) તેના કારણે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ મણિપુરના લોકો માટે એક મોટો આઘાત છે, અને અલબત્ત, આ કોઈ એકમાત્ર ત્રાસદી નથી જેનો સામનો મણિપુરની જનતા કરી રહી છે. આ કૃત્ય પાછળ સ્પષ્ટપણે હિંસા, નફરત અને અહંકાર રહેલા છે. આજકાલ એવો ટ્રેન્ડ બની ગયો છે કે જો તમે સત્તા કે તાકાત ધરાવો છો, તો તમે કોઈની પણ સામે હિંસક બની શકો છો."
નફરતનો જવાબ કેવી રીતે આપવો તે અંગે વાત કરતાં તેમણે ઉમેર્યું કે, "આવી ઘટનાઓ સામે આપણે ક્રોધ કે વેરભાવથી જવાબ ન આપવો જોઈએ. જો આપણે નફરતનો બદલો નફરતથી આપીશું તો આપણે પણ એવું જ કરી બેસીશું જે વિકી સાથે કરવામાં આવ્યું હતું. આવી હિંસાનો સામનો કલા અને પ્રતિભાથી કરવો જોઈએ. પોતાના વિચારોને મક્કમતાથી રજૂ કરીને, જે મૂલ્યો માટે ઊભા છો તેનું રક્ષણ કરીને, તમારી ક્ષમતા દુનિયા સામે સાબિત કરીને અને આવી માનસિકતાને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરીને જ તેનો સાચો જવાબ આપી શકાય."

