VIDEO: "વિરોધ કરો એટલે 'દિમાગી નક્સલ'? પીએમ મોદીના નિવેદન પર વૃંદા કરાતનો સનસનાટીપૂર્ણ પલટવાર!"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'દિમાગી નક્સલ' સંબંધી નિવેદનને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ના વરિષ્ઠ નેતા વૃંદા કરાતે આ મામલે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકાર અસંમતિનો અવાજ દબાવવા માટે આ પ્રકારની પદ્ધતિ અપનાવી રહી છે.
તિરુવનંતપુરમ ખાતે આપેલા નિવેદનમાં વૃંદા કરાતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને તેમની સરકાર માટે જે કોઈ પણ વ્યક્તિ તેમની સાથે અસહમત હોય, તેમની ચોક્કસ નીતિઓની ટીકા કરે અથવા ખુદ વડાપ્રધાનની આલોચના કરે, તેમને 'દિમાગી નક્સલ' તરીકે ગણવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાને વાસ્તવમાં આવા લોકોને ઓળખી કાઢવા અને તેમને અલગ તારવવાનું એક અત્યંત ઉશ્કેરણીજનક આહ્વાન કર્યું છે. સરકાર વિરોધી વિચારો ધરાવતા નાગરિકોને નિશાન બનાવીને લોકશાહીમાં ડરનું વાતાવરણ ઊભું કરવાનો આ પ્રયાસ છે.
સીપીઆઈ(એમ) નેતાએ કેન્દ્ર સરકારની આ નીતિની ઝાટકણી કાઢતા અંતમાં જણાવ્યું કે, આ પ્રકારની માનસિકતા બીજું કઈ નહીં પરંતુ 'થિંક પોલીસિંગ' સમાન છે, જે દેશના નાગરિકોના મૌલિક અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર કરે છે.

