VIDEO: "આઝાદ ભારત માટે આ નાનકડો નિર્ણય લેતા 80 વર્ષ કેમ લાગ્યા?" વંદે માતરમ્ મુદ્દે અમિત શાહનો મોટો ખુલાસો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને ઐતિહાસિક ગણાવતાં જણાવ્યું છે કે ૧૫૦ વર્ષ અને આઝાદીના ૮૦ વર્ષ બાદ દેશ અને દુનિયાએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ ગાન સાંભળ્યું. તેમણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ અમર કૃતિને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની કરોડરજ્જુ ગણાવી હતી.
"સ્વતંત્ર ભારતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે આગળ વધવું જોઈએ"
અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા પરથી ધ્વજવંદન સમારોહમાં તેઓ હંમેશા ઉપસ્થિત રહેતા આવ્યા છે, પરંતુ આ વખતની 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખરેખર અદ્વિતીય હતી. બંકિમ બાબુની આ અજર-અમર રચનાએ માત્ર આઝાદીના આંદોલનને વેગ નહોતો આપ્યો, પરંતુ સ્વતંત્ર ભારત કેવું હશે તેનો દ્રષ્ટિકોણ પણ નિર્ધારિત કર્યો હતો. એક રચના થકી તેમણે સ્થાપિત કર્યું હતું કે આઝાદ ભારતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અપનાવીને જ આગળ વધવું જોઈએ.
ગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય અને બિલ
ગૃહમંત્રીએ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે, આઝાદી અને દેશના ભાગલા પછી પણ 'વંદે માતરમ્'ને સંપૂર્ણ મનથી સ્વીકારવામાં નહોતું આવ્યું. તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં બિલ લાવીને સત્તાવાર કાર્યક્રમોમાં 'વંદે માતરમ્'ના સંપૂર્ણ ગાનને સમાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઐતિહાસિક પગલાંથી ભવિષ્યની પેઢીઓ બાળકો, કિશોરો અને યુવાનો સુધી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો અમર સંદેશ પહોંચશે અને તેમનામાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બનશે.

