VIDEO: જલ, ચિતા અને ફાંસી સત્યાગ્રહ: આદિવાસી મહિલાઓના અનોખા વિરોધ પ્રદર્શનનો પોલીસે બળપૂર્વક કરાવ્યો અંત
Ken-Betwa protest leader Amit Bhatnagar detained after 14-day fast : મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં દેશના પ્રથમ નદી જોડાણ પ્રોજેક્ટ 'કેન-બેતવા લિંક પ્રોજેક્ટ' અને અન્ય પ્રાદેશિક સિંચાઈ યોજનાઓ સામે છેલ્લા 15 દિવસથી ચાલી રહેલું ઉગ્ર આંદોલન આખરે રવિવારેના રોજ પોલીસે બળપ્રયોગ કરીને સમાપ્ત કરાવી દીધું છે. કૂપી ગામ નજીક બરાના નદીના કિનારે ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનના સ્થળને પોલીસે સંપૂર્ણપણે ખાલી કરાવી દીધું છે અને આશરે 150થી વધુ પ્રદર્શનકારીઓને બસો દ્વારા તેમના મૂળ ગામોમાં પરત મોકલી દીધા છે.
લોકો પ્રતીકાત્મક પર ચિતા પર સૂઈને કરી રહ્યા હતા વિરોધ
આ આંદોલન ખાસ કરીને આદિવાસી મહિલાઓની આગેવાનીમાં ચલાવવામાં આવી રહ્યું હતું. પ્રદર્શનકારીઓએ પોતાની માગણીઓ પ્રશાસન સમક્ષ પહોંચાડવા માટે ખૂબ જ અનોખી અને ચોંકાવનારી પદ્ધતિઓ અપનાવી હતી. જેમાં પાણીમાં ઊભા રહીને 'જલ સત્યાગ્રહ', પ્રતીકાત્મક ચિતા પર સૂઈને 'ચિતા સત્યાગ્રહ' અને ગળામાં ફાંસીનો ફંદો લગાવીને 'ફાંસી સત્યાગ્રહ'નો સમાવેશ થાય છે. આ આંદોલનની આગેવાની કરી રહેલા સામાજિક કાર્યકર્તા અમિત ભટનાગર છેલ્લા 14 દિવસથી અનશન પર બેઠા હતા. લાંબા સમયની ભૂખ હડતાળના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડતાં પોલીસે તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
પ્રદર્શનકારીઓનો દાવો- અમિત ભટનાગરની ગેરકાયદે અટકાયત
પ્રદર્શનના અન્ય એક નેતા દિવ્યા અહિરવારે આક્ષેપ કર્યો છે કે, વહીવટી તંત્રએ વહેલી સવારે 5 વાગ્યે આવીને અમિત ભટનાગર અને અન્ય સાથીઓની ગેરકાયદે અટકાયત કરી લીધી છે. તેમણે દાવો કર્યો કે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી જેથી અમિત ભટનાગર મીડિયા સમક્ષ પ્રોજેક્ટમાં થયેલા 400 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના પુરાવા જાહેર ન કરી શકે.
આંદોલન કરી રહેલા લોકોને જીવનું જોખમ હતું, સુરક્ષા કારણોસર કાર્યવાહી: પોલીસ
બીજી તરફ, એડિશનલ એસપી આદિત્ય પાટલેએ ધરપકડ કે અટકાયતના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે આ પ્રદર્શન એક નિર્માણાધીન પુલની નીચે અને નદીના પટમાં ચાલી રહ્યું હતું. ચોમાસાના કારણે નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી પ્રદર્શનકારીઓના જીવને મોટું જોખમ હતું, જેના કારણે સુરક્ષાના હેતુથી આ સ્થળ ખાલી કરાવવામાં આવ્યું છે.
આંદોલન કરી રહેલા લોકોની માંગણી શું છે?
વિસ્થાપિત ગ્રામીણો અને આંદોલનકારીઓનો આરોપ છે કે વહીવટી તંત્ર દ્વારા અગાઉ એપ્રિલ મહિનામાં આપવામાં આવેલા વાયદા પૂરા કરવામાં આવ્યા નથી. કેન-બેતવા લિંક પ્રોજેક્ટ, મઝગાવ અને રુંઝ સિંચાઈ યોજનાઓથી પ્રભાવિત થયેલા હજારો આદિવાસી પરિવારોને યોગ્ય વળતર, પુનર્વસન અને જમીન ફાળવવામાં આવી નથી. લોકોએ પોતાના ઘરબાર, જમીન અને સંસ્કૃતિ ગુમાવી દીધી છે. તેઓ માગ કરી રહ્યા છે કે પ્રશાસને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ અને પ્રત્યેક ગામમાં પ્રોજેક્ટથી પ્રભાવિત પરિવારોની યાદી સાર્વજનિક કરવી જોઈએ.

