VIDEO: કલાબુર્ગી સેન્ટ્રલ જેલમાંથી ત્રણ કેદીઓ ફરાર: પોલીસ કમિશનરે આપ્યું મોટું નિવેદન
કર્ણાટકની કલાબુર્ગી સેન્ટ્રલ જેલમાંથી સજા ભોગવી રહેલા ત્રણ કેદીઓ ફરાર થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે કલાબુર્ગી શહેરના પોલીસ કમિશનર શરણપ્પા એસ. ડી.એ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, ફરતાબાદ પોલીસ સ્ટેશનને સેન્ટ્રલ જેલમાંથી ત્રણ પાકા કામના કેદીઓ ભાગી ગયા હોવાની માહિતી મળી હતી. આ અંગે ફરતાબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
પકડવા માટે ખાસ ટીમોની રચના
પોલીસ કમિશનરે જણાવ્યું કે, "અમે ડીસીપી (લો એન્ડ ઓર્ડર) ના માર્ગદર્શન હેઠળ ૩ ખાસ ટીમોની રચના કરી છે. જેલમાંથી ભાગી ગયેલા ત્રણેય કેદીઓને અમે ટૂંક સમયમાં જ ઝડપી પાડીશું."
ઘટનાસ્થળની તપાસ અને સુરક્ષામાં ચૂક
આ ઘટના બાદ પોલીસ કમિશનરે ડીસીપી (લો એન્ડ ઓર્ડર), ડીસીપી (ક્રાઈમ), અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને જેલ પ્રશાસનના અધિકારીઓ સાથે સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ કરી હતી અને કેદીઓએ જેલમાંથી ભાગવા માટે કેવા પ્રકારની તૈયારીઓ કરી હતી તેની પણ સમીક્ષા કરી હતી.
પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, સુરક્ષામાં કોઈ બેદરકારી કે અધિકારીઓ-સ્ટાફ તરફથી કોઈ ચૂક થઈ છે કે કેમ, તેની તપાસ કરવા માટે જેલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ આવી રહ્યા છે. જેલમાંથી ભાગેલા ત્રણેય કેદીઓ અલગ-અલગ ગુનાઓમાં દોષિત જાહેર થયેલા હતા.

