VIDEO: "મોદી-શાહ આવે ત્યારે કોઈ નિયમો નથી હોતા...", રાહુલ ગાંધીના કાર્યક્રમ પર પોલીસ પ્રતિબંધોથી ભડકી શિવસેના
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના પુણે ખાતે આયોજિત 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમ અંગે શિવસેના (UBT) નેતા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી અને પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા છે. અહેવાલ અનુસાર, પુણે પોલીસે આ કાર્યક્રમની પરવાનગી આપવા માટે અનેક શરતો લાદી હતી, જેને લઈને સંજય રાઉતે સવાલો ઉઠાવ્યા છે.
સંજય રાઉતે જણાવ્યું કે, "રાહુલ ગાંધી પુણે આવી રહ્યા છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ અને યુવાનો 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં ભાગ લેશે અને તેમની સાથે સંવાદ કરશે. પુણે એ દેશમાં આઝાદીની ચિનગારી પ્રગટાવનારું શહેર છે અને લોકમાન્ય તિલક જેવા મહાન નેતાઓની ભૂમિ છે. અહીંથી ઉઠેલો વિદ્યાર્થીઓનો અવાજ સમગ્ર દેશમાં ગુંજશે.
ભાજપ પર ગુંડાગીરીનો આરોપ
સંજય રાઉતે દાવો કર્યો કે વિદ્યાર્થીઓ અને યુવાનોના જોશથી ભાજપ ડરી ગયું છે અને ગુંડાગીરી પર ઉતરી આવ્યું છે. તેમણે કટાક્ષ કર્યો કે, "સપ્ટેમ્બર પછી તેમની આ ગુંડાગીરીના શાસનનો અંત આવી જશે."
પોલીસની બેવડી નીતિ પર સવાલ
રાહુલ ગાંધી પર મુકાયેલા કડક પ્રતિબંધો અંગે તેમણે કહ્યું કે, "રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે અને રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત નેતા છે. છતાં પોલીસે તેમના પ્રવાસ પર આકરી શરતો લાદી છે. જ્યારે પીએમ મોદી, અમિત શાહ કે અન્ય ભાજપ નેતાઓ આવે છે ત્યારે કોઈ જ નિયમો કે શરતો હોતી નથી. શું લોકશાહીમાં વિપક્ષના નેતા સાથે આવો વ્યવહાર યોગ્ય છે?"

