VIDEO: રોડ અકસ્માતો રોકવા કેન્દ્રને સુપ્રીમનો આદેશ: વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
દેશભરમાં આશરે ૫૬ ટકા વાહનો વીમા વગર જ દોડી રહ્યા છે, આ આંકડા સુપ્રીમ કોર્ટમાં જાહેર કરવામાં આવ્યા હતા જેને જોઇને ન્યાયાધીશો આશ્ચર્યમાં મુકાયા હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે દેશભરમાં તમામ વાહનોનો કાયદેસરનો થર્ડ પાર્ટી વીમો હોય તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવે. સુપ્રીમે કેન્દ્રને કહ્યું છે કે જે પણ વ્યક્તિ પાસે કાયદેસરનો થર્ડ પાર્ટી વીમો ના હોય તેને પેટ્રોલ કે ડીઝલ નહીં આપવાનું. વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.
વાહનોના થર્ડ પાર્ટી વીમાને લઇને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કારોલ, ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે કેન્દ્ર સરકારને અનેક મહત્વના આદેશો આપ્યા છે. મોટર વહીકલ્સ કાયદાની કલમ ૧૪૬ (થર્ડ પાર્ટી વીમો ફરજિયાત)નો યોગ્ય અમલ ના થવો અને શું તમામ લોકો થર્ડ પાર્ટી વીમો ધરાવે તે માટે એક સમાન પોલિસી લાગુ કરી શકાય કે કેમ આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને યોગ્ય પગલા લેવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તમામ પેટ્રોલ પમ્પો પર વાહનો આવે ત્યારે જ તેના થર્ડ પાર્ટી વીમાની ચકાસણી કરી શકાય તેવી વ્યવસ્થા કરો, જો કોઇ વાહનચાલક પાસે થર્ડ પાર્ટી વીમો ના હોય તો તેને પેટ્રોલ કે ડીઝલ આપવામાં ના આવે. જ્યાંસુધી થર્ડ પાર્ટી વીમો ના ધરાવે ત્યાં સુધી ઇંધણ ન આપો. આ નિર્ણયથી વીમા વગરના વાહનોની ઓળખ થઇ શકશે સાથે જ વાહનચાલક પણ થર્ડ પાર્ટી વીમો લેતો થઇ જશે. આ ચકાસણી એએનપીઆર (ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ કરતા) કેમેરા જેવી કોઇ વ્યવસ્થા દ્વારા પણ કરી શકાય. સુપ્રીમની બેંચે વધુમાં નોંધ્યું હતું કે નેશનલ હાઇવે પર અકસ્માતો વધી રહ્યા છે, ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો અને અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

