VIDEO: રામ મંદિર ફંડ હેરાફેરી મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: નિષ્પક્ષ તપાસ માટે રચાઈ નવી SIT, 2 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ મંગાવાયો
અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના ચઢાવામાં થયેલી ચોરી અને નાણાકીય અનિયમિતતાના કેસમાં પારદર્શી અને બિનપક્ષપાતી તપાસ માટે સુપ્રીમ કોર્ટે નવી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેંચ સમક્ષ ઉત્તર પ્રદેશ સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશોનું પાલન કરીને તપાસ માટે ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓની નવી SITની કમાન સોંપવામાં આવી છે.
નવી SITમાં કોણ કોણ ?
આઈજી કિરણ એસ: આઈજી (લખનૌ રેંજ) - SITના પ્રમુખ
ડીઆઈજી સોમેન વર્મા: ડીઆઈજી (અયોધ્યા રેંજ) - સભ્ય
એસએસપી ગૌરવ ગ્રોવર: એસએસપી (અયોધ્યા) - સભ્ય
SITમાં ફાઇનાન્શિયલ ઓડિટર (CA)નો પણ સમાવેશ કરાશે
સુપ્રીમ કોર્ટમાં શું થઈ સુનાવણી?
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું કે, આ કેસમાં ફંડની હેરાફેરી અને નાણાકીય ગડબડ સામેલ હોવાથી ટીમમાં ફોરેન્સિક ઓડિટનો અનુભવ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ને પણ સામેલ કરવા જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ સૂચનનો સ્વીકાર કર્યો હતો, અને ખાતરી આપી હતી કે, SITમાં CAને સભ્ય તરીકે જોડવામાં આવશે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, 'અમારો મુખ્ય હેતુ રામ મંદિર ચંદા ચોરી મામલે ઝડપી, ગુણવત્તાસભર, નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરવાનો છે.' સુપ્રીમ કોર્ટે નવી SITને પોતાની તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 2 અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.

