એડમિશન ન મળતાં વિદ્યાર્થીએ હેક કરી IIT કાનપુરની વેબસાઇટ, સંસ્થાએ લીધો ચોંકાવનારો નિર્ણય

IIT કાનપુરમાં બી.ટેક સાયબર સિક્યોરિટી કોર્સમાં પ્રવેશ ન મળતાં એક વિદ્યાર્થીએ સંસ્થાની વેબસાઇટ હેક કરીને "Site is Hacked, All I Need is Just a Fair Chance" એવો સંદેશ મૂકી દીધો. ત્યારબાદ તેણે X અને Reddit પર સ્ક્રીનશોટ શેર કરીને પોતાની સાયબર સિક્યોરિટી સ્કિલ્સ સાબિત કરવા અને એક તક આપવાની માંગ કરી. બીજી તરફ, કાનૂની કાર્યવાહી કરવાની જગ્યાએ IIT કાનપુરના ડિરેક્ટર પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે નહીં તે માટે સકારાત્મક વલણ અપનાવ્યું.
પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, IIT કાનપુરમાં પ્રવેશ પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકી હતી અને તેમાં કાનૂની તેમજ પ્રક્રિયાત્મક પાસાઓ પણ જોડાયેલા હતા. તેમ છતાં, અમે વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ કરવા માંગતા નથી. તેથી તેને એક તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને C3iHubમાં ઇન્ટર્નશિપ માટે તેના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તે આગામી વર્ષે ફરી પ્રવેશ માટે અરજી કરી શકશે.
તેમણે સાથે જ સ્પષ્ટ કર્યું કે અન્ય વિદ્યાર્થીઓ માટે આ યોગ્ય સંદેશ નથી કે તક મેળવવા માટે આવા ગેરકાયદેસર રસ્તા અપનાવવામાં આવે. તેમણે કહ્યું કે, સાયબર સિક્યોરિટીમાં કુશળ લોકો પોતાનું CV મોકલે તો C3iHubમાં ઇન્ટર્નશિપ અથવા નોકરી માટે તેમના પર વિચાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ હંમેશા કાનૂની અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ અને ગંભીર પરિણામો લાવી શકે તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.
હેકાથોનમાં સફળતા ન મળતાં વેબસાઇટ હેક કરી
પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલના જણાવ્યા મુજબ, બી.ટેક સાયબર સિક્યોરિટી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન હેકાથોન દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપવામાં આવી હતી. જોકે, આ વિદ્યાર્થી તેમાં પોતાની ક્ષમતા સાબિત કરી શક્યો નહોતો. ત્યારબાદ તેણે વેબસાઇટમાં ઘૂસણખોરી કરીને પોતાની કુશળતા દર્શાવવાનો પ્રયાસ કર્યો.
FIRના બદલે ઇન્ટર્નશિપની તક
શરૂઆતમાં વિદ્યાર્થી સામે FIR નોંધાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ સંસ્થાએ પહેલાં તેના દાવા અને સાયબર સિક્યોરિટી કુશળતાની ચકાસણી કરવાનો નિર્ણય લીધો. અગાઉ પણ CBSE પોર્ટલની ખામીઓ ઉજાગર કરનારા એક રિસર્ચરને IIT કાનપુરના C3iHub કેન્દ્રમાં કામ કરવાની તક આપવામાં આવી હતી.
IIT કાનપુરના ડિરેક્ટરનું મોટું નિવેદન
પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીને હવે એડમિશન આપી શકાય તેમ નથી. જોકે, તેને C3iHubમાં ઇન્ટર્નશિપ માટે વિચારવામાં આવી રહ્યો છે અને તે આગામી વર્ષે ફરીથી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સાયબર સિક્યોરિટી ક્ષેત્રના અન્ય નિષ્ણાતો પણ પોતાનું CV મોકલી શકે છે, જેથી C3iHubમાં ઇન્ટર્નશિપ અથવા નોકરી માટે તેમના પર વિચાર કરી શકાય.

