Sharad pawar: શરદ પવારની તબિયત અચાનક લથડી, પૂણેની હોસ્પિટલમાં ખસેડાયા, જાણો હૅલ્થ અપડેટ

Sharad pawar: મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા શરદ પવારની સોમવારે બપોર બાદ એકાએક તબિયત લથડી હતી. જેથી તેઓને મહારાષ્ટ્રના બારામતીથી પૂણેમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શરદ પવારને તાવ અને ખાંસીની ફરિયાદ છે.
85 વર્ષીય નેતાની સારવાર માટે તબીબોની સ્પેશિયલ ટીમ ખડેપગે કામ કરી રહી છે. ટેકેદારો તેઓના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, હાલ તેઓની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી રહી છે.
તાવ અને ખાંસીની સમસ્યા
શરદ પવારના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમને છેલ્લા કેટલાક સમયથી સતત ખાંસી અને તેજ તાવની ફરિયાદ હતી. 85 વર્ષીય પીઢ નેતાની તબિયત લથડવાના સમાચાર મળતા જ દેશભરના રાજકીય વર્તુળો અને તેમના સમર્થકોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે અને હાલ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
પરિવાર અને રાજકીય સ્થિતિ
શરદ પવાર છેલ્લા કેટલાક સમયથી સક્રિય રાજકારણથી અંતર જાળવી રહ્યા છે અને માર્ગદર્શકની ભૂમિકામાં છે, જ્યારે પક્ષની જવાબદારી તેમની પુત્રી સુપ્રિયા સુલે સંભાળી રહ્યા છે. પવાર પરિવારમાં પડેલી ફૂટ અને તાજેતરમાં ભત્રીજા અજિત પવારના અવસાનના આઘાતજનક સમાચારે તેમને માનસિક રીતે પણ ખૂબ અસર કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે, પવાર સાહેબ હવે વિખેરાયેલા પરિવાર અને પક્ષને ફરીથી એક કરવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે, 85 વર્ષની ઉંમરે પણ શરદ પવાર ફરીથી બેઠા થવા માટે મહારાષ્ટ્રના ગામેગામ પ્રવાસ કરી રહ્યા છે અને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

