PM Narendra Modiનું રાષ્ટ્રજોગ સંબોધન: ખૂબ પ્રયત્નો છતાં મહિલા અનામત બિલ પાસ ન થઈ શક્યું

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમને મહિલા અનામત બિલ અંગે વિપક્ષે ટેકો ન આપતા તેની પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે, મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતાં કહ્યું કે, વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે આના પરિણામો ભોગવવા પડશે.
'માતા બહેનોની માફી માગું છું'
'પ્રયાસો છતાં બિલ પાસ ન થઈ શક્યું, તમામ માતા બહેનોની માફી માગું છું, અમારા માટે દેશહિત સર્વોપરી છે, પણ કેટલાક લોકો માટે પાર્ટી હિત મોટું છે, જ્યારે દેશહિત કરતાં પાર્ટીહિત મોટું થઈ જાય છે ત્યારે નારી હિતને નુકસાન થાય છે.'
'ભાગલા પાડો અને રાજ કરો'
પીએમ મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધનમાં જણાવ્યું કે, વિપક્ષ અંગ્રેજોની નીતિ ભાગલા પાડો અને રાજનીતિ કરોની નીતિ અપનાવી રહ્યું છે. આ મહિલા અનામત બિલ દરેક રાજ્ય માટે એક તક હતી. દરેક રાજ્યની બેઠકો વધવાની હતી. પરંતુ વિપક્ષ અને તેની રાજનીતિને લીધે આવું ન થઈ શક્યું. પરંતુ ટીએમસી સહિતના વિપક્ષે આવી તક ગુમાવી દીધી છે. સમાજવાદી પાર્ટીએ પણ અનામત બિલને ટેકો આપવાનો મોકો ખોઈ નાખ્યો છે. સમાજવાદી પાર્ટી લોહિયાજીના સપનાં પગ તળે કચડી નાખ્યા છે. મહિલા અનામતનો વિરોધ કરી કોંગ્રેસ ફરી એન્ટિ રિફોર્મ કરી રહ્યું છે. આ કોંગ્રેસે જનધન, જીએસટી, સામાન્ય વર્ગને અપાતા અનામતનો પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ટ્રિપલ તલાક તેમજ આર્ટિકલ 370 નાબૂદીનો પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સુધારાનું નામ લઈ વિરોધની તકતી લઈને દોડવા લાગે છે.
કોંગ્રેસ સુધારાની વિરોધી
કોંગ્રેસ વન ઈલેક્શન વન નેશન, મતદાર યાદી સુધારણા, રિફોર્મ તેમજ ઘૂસણખોરોને દૂર કરવા પર પણ વિરોધ કરતી રહે છે. કોંગ્રેસની માત્ર એક પેટર્ન છે જૂઠ બોલો અને વિરોધ કરો. કોંગ્રેસના વલણને લીધે દેશ વિકાસના એ સ્તર સુધી નથી પહોંચી શક્યો. કોંગ્રેસનું વર્ક કલ્ચર હંમેશા લટકાવવું, ભટકાવવું રહ્યું છે. કોંગ્રેસે સૈનિકોને વન રેન્ક પેન્શનનો પણ વિરોધ કર્યો હતો.
નારી પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી: PM મોદી
PM મોદીએ કહ્યું કે, નારી બધું જ ભૂલી શકે છે, પરંતુ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી. તેથી જ સંસદમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના વર્તનનો ડંખ દરેક નારીના મનમાં હંમેશા રહેશે. સંસદમાં 'નારીશક્તિ વંદન સંશોધન'નો જે પક્ષોએ વિરોધ કર્યો છે, તે લોકો નારી શક્તિને for granted (ગંભીરતાથી નથી) લઈ રહ્યા છે. તેઓ એ ભૂલી રહ્યા છે કે 21મી સદીની નારી દેશની દરેક ઘટના પર નજર રાખી રહી છે. તેઓ તેમની દાનત પારખી રહી છે અને સત્ય પણ સારી રીતે જાણી ચૂકી છે. તેથી જ મહિલા અનામતનો વિરોધ કરીને જે પાપ વિપક્ષે કર્યું છે, તેની સજા તેમને ચોક્કસ મળશે. આ પક્ષોએ બંધારણના ઘડવૈયાઓની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે.
અડધી વસ્તીને તેનો અધિકાર આપવા માટે સંશોધન હતું: PM મોદી
PM મોદી કહ્યું કે, આ 40 વર્ષથી લટકેલા નારીના હકને, 2029ની આગામી લોકસભા ચૂંટણીથી તેનો હક આપવા માટેનું સંશોધન હતું. 'નારી શક્તિ વંદન સંશોધન' 21મી સદીના ભારતની નારીને નવી તકો આપવા, નવી ઉડાન આપવા અને તેની સામેથી અવરોધો દૂર કરવાનો એક મહાયજ્ઞ હતો. દેશની 50 ટકા એટલે કે અડધી આબાદીને તેનો અધિકાર આપવા માટે, સાફ દાનત અને ઈમાનદારી સાથે કરવામાં આવેલું એક પવિત્ર પર્વ હતું.

