અરબી સમુદ્રમાં પાકિસ્તાની નેવલ શિપની ભારતીય નૌસેના સાથે ટક્કર

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે અરબી સમુદ્રમાં બંને દેશોની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કર (Collision)ની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બરની સાંજે આંતરરાષ્ટ્રીય જળસીમા (International Waters)માં આ ઘટના બની હતી. ઘટનાને પગલે ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ નવી દિલ્હીમાં પાકિસ્તાનના ટોચના રાજદ્વારીને બોલાવીને (Summoned) સખત વિરોધ નોંધાવ્યો છે.
પાકિસ્તાની જહાજ સાથે ભારતીય નૌસેના યુનિટની ટક્કર
રિપોર્ટ મુજબ, ભારતીય નૌસેનાનું જહાજ ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત દેખરેખ અભિયાન (Routine Surveillance Mission) પર હતું. આ દરમિયાન પાકિસ્તાની નૌસેનાનું એક જહાજ ઝડપથી ભારતીય જહાજ તરફ આવ્યું અને બંને વચ્ચે ટક્કર થઈ હતી.
ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટનામાં ભારતીય નૌસેનાના જહાજને કોઈ મોટું નુકસાન થયું નથી. અહેવાલોમાં પણ કહેવામાં આવ્યું છે કે ટક્કર છતાં કોઈ મોટી ક્ષતિ નોંધાઈ નથી.
ભારતે પાકિસ્તાન સામે નોંધાવ્યો સખત વિરોધ
ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાની નૌસેના યુનિટના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” (Unacceptable and Unprofessional) ગણાવ્યું છે. ભારતે જણાવ્યું કે આ પ્રકારનું વર્તન દરિયાઈ સુરક્ષા અને નેવિગેશન (Navigation) સાથે જોડાયેલા નિયમો અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે.
MEA મુજબ, આ ઘટના 1991ના ભારત-પાકિસ્તાન કરાર (Agreement)ની જોગવાઈઓ સાથે પણ વિસંગત હોવાનું ભારતે જણાવ્યું છે. આ કરાર બંને દેશોની સૈન્ય કવાયત, હિલચાલ અને સૈનિક ગતિવિધિઓ અંગે અગાઉથી માહિતી આપવાની વ્યવસ્થા સાથે સંબંધિત છે.
ઓપરેશન સિંદૂર બાદ તણાવ વચ્ચે ઘટના
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં પહેલેથી જ તણાવ છે. ગયા વર્ષે થયેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ બંને દેશો વચ્ચે સુરક્ષા અને સૈન્ય સંબંધિત મુદ્દાઓને લઈને સંવેદનશીલતા વધી છે.
હાલ આ ટક્કર કેવી પરિસ્થિતિમાં થઈ અને બંને જહાજોની હિલચાલ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ભારત તરફથી રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવવામાં આવ્યા બાદ આ મામલે પાકિસ્તાન તરફથી શું પ્રતિસાદ આવે છે તેના પર પણ નજર રહેશે.

