NCERT દ્વારા ધોરણ-8ના પાઠયપુસ્તકમાં મહત્ત્વનો ફેરફાર કરાયો, નવી પુસ્તકો છપાવાની શરૂ, આવો કર્યો ફેરફાર

NCERT Issues New Class-8 Social Science Textbook : ધોરણ-8ના પુસ્તકોને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT)એ સામાજિક વિજ્ઞાનના અનેક અભ્યાસક્મમાં ફેરફાર કર્યા બાદ નવા પુસ્તકોનું પ્રકાશન શરૂ કરી દીધું છે. એનસીઈઆરટી દ્વારા ધોરણ-8ના પુસ્તકમાં શિવાજીથી લઈને બાબર-અકબર અને ઔરંગઝેબ અંગે રજૂ કરાયેલા ઈતિહાસમાં અનેક ફેરફાર કર્યા છે. પુરસ્તકના ચેપ્ટર્સમાં કરાયેલા ફેરફારની કેટલીક માહિતી પણ સામે આવી છે. નવા પુસ્તકો માર્કેટમાં આવી ચૂક્યા છે, પરંતુ તેમણે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આખરે એનસીઈઆરટીએ ધોરણ-8ના પાઠ્યપુસ્તકોમાં શું-શું ફેરફાર કર્યા છે, ફેરફારો કરવા પાછળનું કારણ શું છે, પુસ્તકમાંથી કયા કયા ચેપ્ટર્સ હટાવાયા છે અને ચેપ્ટર્સમાંથી કંઈ માહિતી ઘટાડવામાં આવી છે? ચાલો જાણીએ.
દિલ્હી સલ્તનત સંબંધિત ઈતિહાસમાં ફેરફાર
એનસીઈઆરટીના નવા પુસ્તકમાં દર્શાવાયું છે કે, ‘અલાઉદ્દીન ખિલજીના સિપહસાલાર મલિક કફૂરે હિન્દુઓના અનેક મહત્ત્વના કેન્દ્રો શ્રીરંગમ, મદુરૈ, ચિદમ્બર અને સંભવતઃ રામેશ્વરમને નિશાન બનાવ્યા હતા. દિલ્હી સલ્તનતના સમયગાળાને બૌદ્ધ, જૈન, હિન્દુ મંદિરો પર હુમલાઓ અને પવિત્ર મૂર્તિઓના વિનાશના સમયગાળા તરીકે દર્શાવાયો છે. આ વિનાશ ફક્ત લૂંટફાટ જ નહીં પરંતુ મૂર્તિપૂજાને નાબૂદ કરવા માટે પણ હતો. ધોરણ-સાતના જૂના પુસ્તકમાં જઝિયા કરને બિન-મુસ્લિમો દ્વારા ચૂકવવામાં આવતો કર તરીકે દર્શાવાયો હતો, ત્યારે હવે ધોરણ-8ના પુસ્તકમાં જઝિયા કરને બિન-મુસ્લિમોને સુરક્ષા અને લશ્કરી સેવાથી બચાવવા માટેનો કર તરીકે દર્શાવાયો છે. પુસ્તકમાં છે કે, જઝિયા કર લોકોને વિભાજીત કરતો અને અપમાન કરતો કર હતો. કરમાંથી મુક્તિ મળે તે માટે જઝિયા કરનો ઉપયોગ કરી કરદાતાઓ પર ઈસ્લામ ધર્મ સ્વીકારવા દબાણ કરાતું હતું.
બાબરે શહેરોને લૂટ્યા અને ‘ખોપરીનો મિનાર’ ગર્વ અનુભવ્યો
આ ઉપરાંત પુસ્તકમાં મુગલ સામ્રાજ્ય સંબંધીત ઈતિહાસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બાબર, અકબર અને ઔરંગઝેબના ઈતિહાસમાં બદલાવ કરવામાં આવ્યો છે.
બાબર : મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબર પરના ધોરણ-7ના જૂના પાઠ્યપુસ્તકમાં દર્શાવાયું હતું કે, તેને પોતાના પૂર્વજોના રાજ્યને છોડવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાબુલ, પછી દિલ્હી અને આગ્રા પર કબજો કર્યો હતો. હવે, ધોરણ-8ના પુસ્તકમાં બાબરના જીવનને ટાંકીને દાવો કરાયો છે કે, તે સાંસ્કૃતિક અને બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ માણસ હતો. પરંતુ તે ક્રૂર અને નિર્દય પણ હતો, શહેરોની સમગ્ર વસ્તીનો નાશ કરતો હતો. પુસ્તકમાં દર્શાવાયું છે કે, બાબરે નરસંહાર કરવાની સાથે સ્ત્રીઓ અને બાળકોને ગુલાબ બનાવ્યા હતા અને જે શહેરોને લૂંટ્યા, ત્યાં માર્યા ગયેલા લોકોની 'ખોપરીનો મિનારા' ઉભો કરીને ગર્વ અનુભવ્યો હતો.
અકબરે 30 હજાર નાગરિકોના નરસંહારનો આદેશ આપ્યો હતો
નવા પુસ્તકમાં અકબરના શાસનકાળને ક્રૂરતા અને સહિષ્ણુતાના મિશ્રણ તરીકે બતાવાયો છે. નવા ચેપ્ટર્સમાં દર્શાવાયું છે કે, જ્યારે અકબરે ચિત્તોડગઢના રાજપૂત કિલ્લા પર હુમલો કર્યો અને લગભગ 30 હજાર નાગરિકોના નરસંહારનો આદેશ આપ્યો, ત્યારે તેણે વિજય સંદેશ મોકલ્યો - ‘અમે કાફિરોના ઘણા કિલ્લાઓ અને નગરો કબજે કરવામાં સફળ થયા છીએ અને ત્યાં ઈસ્લામ સ્થાપિત કર્યો છે. અમારી લોહીલુહાણ તલવારની શક્તિથી, અમે તેમના મનમાંથી કાફિરોના નિશાન ભૂંસી નાખ્યા છે અને તે સ્થળોએ અને સમગ્ર હિન્દુસ્તાનમાં મંદિરો ધ્વસ્ત કરી દીધા છે.’ પુસ્તકમાં એમ પણ દર્શાવાયું છે કે, અકબરની વિવિધ ધર્મો પ્રત્યેની સહિષ્ણુતા છતાં, વહીવટમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિન-મુસ્લિમોને ભાગ્યે જ સ્થાન આપ્યું હતું.
ઔરંગઝેબનો ઈરાદો મુખ્યત્વે રાજકીય
નવા પુસ્તકમાં ઔરંગઝેબના ઈતિહાસ પણ દર્શાવાયો છે. પુસ્તકમાં લખાયું છે કે, કેટલાક વિદ્વાનો માને છે કે તેમના ઈરાદા પાછળનો હેતુ મુખ્યત્વે રાજકીય હતો. ઉદાહરણોમાં મંદિરોને અપાતી સહાય અને રક્ષણનો સમાવેશ થાય છે. જોકે, ઔરંગઝેબનું ફરમાન તેમના ધાર્મિક ઈરાદા-વિચારો પણ છતા કર્યા છે. પુસ્તકમાં જણાવાયું છે કે, તેમણે પ્રાંતના શાસકોને શાળાઓ અને મંદિરો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તેમણે બનારસ, મથુરા, સોમનાથ અને જૈન મંદિરો સાથે શીખ ગુરુદ્વારાઓ પણ ધ્વસ્ત કર્યા હતા. એનસીઆરટીએ આ સમયગાળાના વહીવટી માળખા વિશે પણ માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સલ્તનત અને મુઘલોના સમયગાળા દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓ ઉચ્ચ સ્તરે હતી. આ ઉપરાંત શહેરોની પરિસ્થિતિઓ પણ બદલાઈ રહી હતી. ભારતીય સમાજે શહેરો, મંદિરો અને અર્થતંત્રના પુનર્નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે 17મી સદીથી દેશ આર્થિક દબાણ હેઠળ આવવા લાગ્યો હતો.
ઔરંગઝેબે ભાઈની હત્યા કરી, પિતાને કેદ કર્યા
અકબર પછી સત્તા પર આવેલા જહાંગીર અને શાહજહાંને પુસ્તકમાં કલા અને વાસ્તુકલાના સંરક્ષણ તરીકે દર્શાવાયા છે. શાહજહાંને ખાસ કરીને તાજમહેલના નિર્માણ માટે યાદ કરવામાં આવે છે, પરંતુ એ પણ ઉલ્લેખ છે કે શાહજહાંની બીમારી પછી ઉત્તરાધિકારની લડાઈમાં ઔરંગઝેબે તેના ભાઈ દારા શિકોહની હત્યા કરી અને તેના પિતાને કેદ કરી દીધા.
મરાઠા સામ્રાજ્યના ચેપ્ટરમાં પણ ફેરફાર
દિલ્હી સલ્તનત અને મુઘલ કાળ બાદ પુસ્તકમાં મરાઠા સામ્રાજ્ય પર એક ચેપ્ટર અપાયેલું છે. તેમાં શિવાજીને એક મહાન કૂટનીતિજ્ઞ અને સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે બતાવાયા છે. ચેપ્ટરમાં દર્શાવાયું છે કે, મરાઠાઓએ ભારતની સાંસ્કૃતિક વિકાસ યાત્રામાં મોટો ફાળો આપ્યો હતો. શિવાજી એક સમર્પિત હિન્દુ હતા જે બધા ધર્મોનું સન્માન કરતા હતા. તેમણે માત્ર તોડી પાડવામાં આવેલા મંદિરોનું પુનર્નિર્માણ જ નહીં, પરંતુ તેમના ધર્મનો પણ પ્રચાર કર્યો હતો. જ્યારે જૂના પુસ્તકમાં દર્શાવાયું હતું કે, શિવાજીએ એક મજબૂત મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અને એક સક્ષમ વહીવટી વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો.
પુસ્તકમાં ખાસ નોંધ અપાઈ
સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં દિલ્હી સલ્તનતથી બ્રિટીશ સામ્રાજ્યની શરૂઆત સુધીના સમયગાળા અંગે બતાવાયું છે. પુસ્તકમાં આ સમયગાળાને ઈતિહાસના કાળા પ્રકરણ તરીકે લખાયો છે, જે યુદ્ધ, જુલમ, ધાર્મિક કટ્ટરતા અને રક્તપાતથી ભરેલો હતો. જોકે, પુસ્તકમાં એક નોંધમાં કહેવામાં આવ્યું છે કે, ઈતિહાસના કાળા પ્રકરણને કોઈપણ પૂર્વગ્રહ વિના વાંચવું મહત્વપૂર્ણ છે, તે પણ આજના સમયમાં કોઈને દોષ આપ્યા વિના, જેથી ઈતિહાસની ભૂલો સુધારી શકાય અને ભવિષ્યની કલ્પના કરી શકાય જેમાં આવી ઘટનાઓ ન બને.

