Vadodara news: વડોદરામાં વ્યાજખોરોનો આતંક, વુડાના મકાનમાં વૃદ્ધાના પુત્રને બંધક બનાવ્યો

Vadodara news: વડોદરા શહેરમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા વુડાનામાં મકાનની આ ઘટના છે. જ્યાં વ્યાજે લીધેલા રૂપિયા નહીં ચૂકવતા વૃદ્ધાના દીકરાને ઘરમાં પુરી દીધો હોવાનો મામલો સામે આવ્યો હતો. વ્યાજખોરોએ વૃદ્ધા રમીલાબેનનાં માનસિક રીતે બીમાર દીકરા નરેશને તેઓના ઘરમાં બંધકની જેમ પુરીને બહારથી તાળું મારી દીધું હતું. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. માંજલપુર પોલીસે આ મામલે વ્યાજનો ધંધો કરનાર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદાબેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનામાં પોલીસનું માનીએ તો રમીલાબેનના પુત્ર નરેશે બહેનના લગ્ન માટે વ્યાજે રૂપિયા 70,000 લીધા હતા, ત્યાર બાદ ફરી એક વખત રૂપિયા લીધા હતા, જોકે દર મહિને વ્યાજખોરો દ્વારા તગડું વ્યાજ વસૂલવામાં આવતું હતું, છ માસથી વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરોએ ઘરે આવી માનસિક બીમાર યુવાન નરેશને ધમકાવીને ઘરમાં પુરીને તાળું મારી દીધું હતું. જે ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને માંજલપુર પોલીસે આ મામલે લાયસન્સથી વ્યાજનો ધંધો કરતા માતા પુત્ર શારદાબેન અને નરેન્દ્ર દાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

