Rajkot news: TRP ગેમઝોન અગ્નિકાંડમાં સેશન્સ કોર્ટે આજે કેસ ચાર્જ ફ્રેમ કર્યો

Rajkot news: રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજે સેશન્સ કોર્ટે તમામ આરોપીઓ સામે કેસ ચાર્જ ફ્રેમ કર્યો હતો. આરોપી જયદીપ ચૌધરી દ્વારા મુદત માંગવામાં આવતા કોર્ટે આકરો દંડ કરતા જયદીપ ચૌધરીએ અરજી પરત ખેંચી લીધી હતી. ચાર્જ ફ્રેમ કરતા સુનાવણી શરૂ કરી કયા સાક્ષીને પહેલા બોલાવવા એ અંગે જાણ કરવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલા ચકચારી દુર્ઘટનાઓની ઘટનામાં સૌથી ઝડપી TRP અગ્નિકાંડ કેસ ચાર્જ ફ્રેમ થયાનો રાજકોટ બારના પૂર્વ ઉપપ્રમુખ વકીલનો સુરેશ ફળદુનો દાવો છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટના TRP ગેમઝોન અગ્નિ કાંડમાં કોર્ટમાં તમામ આરોપીઓ હાજર રહ્યા હતા. જેલમાં બંધ અને જામીન પર મુક્ત થયેલા તમામ મનસુખ સાગઠિયા, ભીખા ઠેબા સહિતના આરોપીઓ હાજર રહ્યા હતા. ગત 7 જુલાઈના રોજ સેશન્સ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ અરજી ફગાવવામાં આવી હતી. સેશન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 17 જુલાઈના રોજ હાજર રહેવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, અગ્નિ કાંડ કેસમાં અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટમાં 22 તારીખ પડી ચૂકી છે. જે બાદ કોર્ટે કેસને ચાર્જ ફ્રેમ કર્યો હતો. જેથી હવે આ ચકચારી અગ્નિકાંડ કેસની 31મી જુલાઈથી આગળની કોર્ટ કાર્યવાહી શરૂ થઈ જશે.

