VIDEO: વાયનાડમાં ભૂસ્ખલનમાં બેના મોત : મુખ્યમંત્રીની કટોકટીની બેઠક, બે મંત્રીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા આદેશ
કેરળના વાયનાડ (Wayanad) જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મંગળવારે એક મોટું ભૂસ્ખલન (Landslide) થતાં ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી હોનારતમાં બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાને જોડતા અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળની નજીક, કલ્લાડી ખાતે મીનાક્ષી બ્રિજ પાસે ઘટી હતી. ઘટના સમયે ત્યાં બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો હાજર હતા.
‘મેન-મેડ લેન્ડસ્લાઇડ’ રેલવે પ્રશાસનની ઘોર બેદરકારીનો આક્ષેપ
આ ઘટનાને લઈને કેરળ સરકારના મંત્રી ટી. સિદ્દીકે ગંભીર આક્ષેપો કરતા આ દુર્ઘટનાને કુદરતી નહીં પણ "મેન-મેડ લેન્ડસ્લાઇડ" (માનવસર્જિત ભૂસ્ખલન) ગણાવી છે. મંત્રીના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટરે કોંકણ રેલવે (Konkan Railways) ને આ સ્થળે ભૂસ્ખલન થવાના જોખમ અંગે અગાઉથી જ લેખિતમાં ચેતવણી આપી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. વહીવટીતંત્રએ 20 જૂનના રોજ એક આદેશ આપીને કન્સ્ટ્રક્શન સાઇટ પરથી માટી હટાવવા જણાવ્યું હતું, જેનો કોન્ટ્રાક્ટરે અમલ કર્યો નહોતો. મંત્રીએ વર્ષ 2024 માં વાયનાડના મુંડક્કાઈમાં થયેલા ભૂસ્ખલનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 298 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમણે કહ્યું કે આવી બેદરકારી બિલકુલ સાંખી લેવામાં નહીં આવે.
24 કલાકમાં 265 મીમી વરસાદ, યુદ્ધના ધોરણે બચાવ કાર્ય
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 265 મીમી (265 mm) જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે આ ભૂસ્ખલન થયું હોવાનું મનાય છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NDRF) ની વાયનાડ અને કોઝીકોડની બે ટીમોના કુલ 60 જવાનો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસના જવાનો પણ સ્થાનિક લોકોની મદદથી કામ કરી રહ્યા છે.
દર્દીઓની સ્થિતિ
અત્યાર સુધીમાં કાટમાળમાંથી છ ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં ટનલ પ્રોજેક્ટના કામમાં વપરાતા કેટલાક વાહનોને પણ ભારે નુકસાન થયું છે.
મુખ્યમંત્રીની કટોકટીની બેઠક અને આદેશ
દુર્ઘટનાની ગંભીરતાને જોતા કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને કૃષિ મંત્રી ટી. સિદ્દીક સાથે તાત્કાલિક કટોકટીની બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા આદેશ આપ્યો છે. આ સાથે જ તેમણે રાજ્યના મહેસૂલ મંત્રી એ.પી. અનિલ કુમાર અને મંત્રી સિદ્દીકને તાત્કાલિક વાયનાડ પહોંચીને જાતે જ બચાવ કાર્યોની દેખરેખ રાખવાની સૂચના આપી છે.

