VIDEO: "બળાત્કારના દોષિતોને છોડાવનારા શિક્ષણ મંત્રી!", પ્રિયંકા ગાંધીની શિક્ષણ મંત્રી પરની ટિપ્પણી સામે લોકસભામાં કિરેન રિજિજુના પ્રહાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષણ અને પેપર લીક મુદ્દે યોજાયેલી ચર્ચામાં વાતાવરણ વધુ ગરમાયું હતું. કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વડ્રા દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી સામે કરવામાં આવેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ એ કડક વાંધો ઉઠાવ્યો હતો અને પ્રિયંકા ગાંધી પાસે માફીની માગણી કરી હતી.
પ્રિયંકા ગાંધીનો આકરો આક્ષેપ
સંસદમાં બોલતી વખતે પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારની નિમણૂકો પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, "વડાપ્રધાને દેશમાં એક એવા નવા શિક્ષણ મંત્રીની નિમણૂક કરી છે, જેમણે એક સગર્ભા મહિલા પર બળાત્કાર કરનારા દોષિતોની જેલમાંથી મુક્તિ પર પોતાની સંમતિ અને આનંદ વ્યક્ત કર્યો હતો..."
કિરેન રિજિજુએ કહ્યું ઃ 'આ ચરિત્ર હનન છે'
પ્રિયંકા ગાંધીના આ નિવેદન પર તુરંત વાંધો ઉઠાવતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "સંસદની અંદર આ પ્રકારની ભાષા વાપરીને કોઈ વ્યક્તિનું ચરિત્ર હનન કરવામાં આવી રહ્યું છે. પ્રિયંકા ગાંધી પાસેથી ગૃહમાં આવી ભાષાની અપેક્ષા રાખી શકાય નહીં. આ નિવેદનને સંસદીય કામગીરીના રેકોર્ડમાંથી તાત્કાલિક દૂર કરવું જોઈએ." કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે સંસદની મર્યાદા જાળવવી જરૂરી છે અને આવી આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ કૉંગ્રેસ સાંસદે આખા ગૃહની માફી માગવી જોઈએ.
ગૃહમાં હંગામો:
આ સામસામેના પ્રહારો બાદ સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ભારે હંગામો જોવા મળ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી.

