VIDEO : અયોધ્યાનું નવું આકર્ષણ, 7D ટેક્નોલોજીના માધ્યમથી જીવંત થશે ભગવાન રામનું જીવનચરિત્ર
ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા તેના રામ મંદિરના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે હવે અયોધ્યામાં આકાર લઈ રહ્યું છે વિશ્વનું પ્રથમ અત્યાધુનિક 7D રામકથા મ્યુઝિયમ! ૨૩૩ વર્ષ જૂની રામાયણની દુર્લભ હસ્તપ્રત સાથે ત્રેતાયુગના દર્શન કરાવતા આ અજાયબી જેવા પ્રોજેક્ટની શું છે વિશેષતાઓ?
ઉત્તર પ્રદેશની પાવન ભૂમિ અયોધ્યા હવે માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં, પરંતુ અત્યાધુનિક ટેકનોલોજી અને ઈતિહાસના સંગમનું કેન્દ્ર બનવા જઈ રહી છે. અયોધ્યામાં વિશ્વના પ્રથમ સેવન ડી ઈન્ટરનેશનલ રામકથા મ્યુઝિયમ'નું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તે હવે તેના અંતિમ તબક્કા છે. આ મ્યુઝિયમની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આવનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અત્યાધુનિક સેવન ડી ટેકનોલોજીના માધ્યમથી રામાયણના પ્રસંગોનો જીવંત અનુભવ કરાવવામાં આવશે. આ મ્યુઝિયમ માત્ર ટેકનોલોજી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે પ્રાચીન વારસાને પણ જાળવી રાખશે. સંગ્રહાલયમાં વાલ્મીકિ રામાયણની આશરે 233 વર્ષ જૂની અત્યંત દુર્લભ હસ્તપ્રત પ્રદર્શિત કરવામાં આવશે, જે સંશોધકો અને ઈતિહાસ પ્રેમીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.
આ હસ્તપ્રત રામાયણ કાળના સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વને ઉજાગર કરશે. મ્યુઝિયમનું માળખું એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે ભારતીય સંસ્કૃતિની ભવ્યતાની સાથે આધુનિકતાનો અહેસાસ કરાવશે. રામ જન્મભૂમિ પર વધતા પ્રવાસીઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંગ્રહાલય અયોધ્યાના પર્યટન ક્ષેત્રે નવા પ્રાણ ફૂંકશે. સરકારનો ઉદ્દેશ્ય નવી પેઢીને શ્રીરામના જીવન મૂલ્યો સાથે ડિજિટલ માધ્યમથી જોડવાનો છે. આગામી ગણતરીના મહિનાઓમાં આ ભવ્ય મ્યુઝિયમ જનતા માટે ખુલ્લું મુકાય તેવી શક્યતા છે, જે અયોધ્યાની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે.

