VIDEO: સંસદ પરિસરમાં કલ્યાણ બેનર્જી અને પ્રિયંકા ગાંધી વચ્ચે હળવી રમુજ: પપ્પુ યાદવે પણ લીધી મજા, જાણો શું હતો મુદ્દો
નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર (Monsoon Session) ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુરુવારે સંસદ પરિસરમાં (Parliament Premises) વિપક્ષી નેતાઓ વચ્ચે એક રસપ્રદ અને હળવા અંદાજમાં રાજકીય નોકઝોંક જોવા મળી હતી. તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદ કલ્યાણ બેનર્જી અને કોંગ્રેસના (Congress) સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા વચ્ચેની વાતચીત દરમિયાન ઘણી રાજકીય ટિપ્પણીઓ થઈ હતી, જેમાં અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પણ સામેલ થયા હતા. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્થળ પર હાજર અન્ય સાંસદો પણ હસતા જોવા મળ્યા હતા.
'૨૦ ગદ્દારોની તસવીર'થી શરૂ થઈ વાતચીત
વાતચીતની શરૂઆત ત્યારે થઈ જ્યારે કલ્યાણ બેનર્જી પોતાના શરીર પર એક બેનર (Banner) લગાવીને સંસદ પરિસરમાં પહોંચ્યા હતા. તે સમયે ત્યાં પ્રિયંકા ગાંધી અને પપ્પુ યાદવ પણ હાજર હતા. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે તેઓ ૨૦ ગદ્દારોની તસવીરો લઈને આવ્યા છે, જેઓ સંસદની અંદર બેઠા છે.
અમારા ત્યાંથી તમારા ત્યાં ગયા, પછી ભાજપમાં: પ્રિયંકા ગાંધી
કલ્યાણ બેનર્જીના આ નિવેદન પર પ્રિયંકા ગાંધીએ વળતો જવાબ આપતા કહ્યું, "કે કેટલાક લોકો પહેલા અમારાથી તમારા પક્ષમાં ગયા અને પછી ભાજપમાં (BJP) જતા રહ્યા."
આના જવાબમાં કલ્યાણ બેનર્જીએ કહ્યું, "પશ્ચિમ બંગાળમાં તમારું કાંઈ જ નહોતું, તેથી તેઓ તમને છોડીને અમારી પાસે આવ્યા હતા. જે લોકો તમારા ત્યાંથી અમારી પાસે આવ્યા હતા, તેઓ કોંગ્રેસની ટિકિટ પર ક્યારેય સંસદમાં પહોંચ્યા નહોતા."
કોંગ્રેસી તો અમે પણ હતા: કલ્યાણ બેનર્જી
આ જ દરમિયાન પપ્પુ યાદવે વચ્ચે હસ્તક્ષેપ કરતા કહ્યું, "તો તેઓ કોંગ્રેસી જ છે ને..." તેના પર કલ્યાણ બેનર્જીએ સ્મિત સાથે જવાબ આપ્યો, "અરે, કોંગ્રેસી તો અમે લોકો પણ હતા."
વાતચીત આગળ વધી ત્યારે કલ્યાણ બેનર્જીએ પ્રિયંકા ગાંધીને કહ્યું, "તમે લોકોએ જ દીદીને (મમતા બેનર્જી) ભગાડી દીધા હતા. જો દીદીને ન ભગાડ્યા હોત તો શું તમારી આ હાલત થાત?" પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો, "રાજીવજી દીદીને ખૂબ સન્માન અને પ્રેમ આપતા હતા." આના પર કલ્યાણ બેનર્જીએ ઉમેર્યું કે, "તે સમયે કોંગ્રેસ સીપીએમ (CPM) સાથે જતી રહી હતી અને અમે તો હંમેશાં સીપીએમની વિરુદ્ધ હતા."
ટીએમસીમાં બળવા વચ્ચે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ પક્ષમાં ભારે ઉથલપાથલ મચી છે. ટીએમસીના ૨૮ માંથી ૨૦ લોકસભા સાંસદોએ કાકોલી ઘોષ દસ્તિકારની આગેવાનીમાં મમતા બેનર્જી સામે બળવો કર્યો હતો. પક્ષપલટા વિરોધી કાયદાની (Anti-Defection Law) જટિલતાઓથી બચવા માટે આ બળવાખોર સાંસદોએ નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) માં વિલય કરીને કેન્દ્રની એનડીએ (NDA) સરકારને સમર્થન જાહેર કર્યું છે.

