VIDEO : 'એસ.જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી વચ્ચે 3 વખત વાત થઈ, ભારતીયોને રોડ માર્ગે બહાર કઢાશે' ; વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર અને ઈરાનના વિદેશમંત્રી વચ્ચે તાજેતરમાં જ ત્રણ વખત વાતચીત થઈ છે. બંને વચ્ચે જહાજોની સુરક્ષા અને ભારતની ઊર્જા સુરક્ષા મુદ્દે વાત થઈ હતી.
મધ્ય-પૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ
જયસ્વાલે કહ્યું કે, ‘ભારત સરકાર મધ્ય-પૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ કરી રહી છે. સરકાર અજરબૈજાન અને આર્મેનિયા જવા ઈચ્છતા ભારતીય નાગરિકોની પણ મદદ કરી રહી છે. આ નાગરિકો કોમર્શિયલ ફ્લાઈટમાં ઘરે પરત ફરવા ઈચ્છે છે, તેથી અમે તેઓને વિઝા અપાવવામાં મદદ કરી રહ્યા છીએ. અમે તેઓને સરહદ પાર કરવામાં પણ મદદ કરી રહ્યા છે.’
ઈરાનમાં લગભગ 9000 ભારતીય નાગરિક
તેમણે કહ્યું કે, ‘ઈરાનમાં લગભગ 9000 ભારતીય નાગરિક હતા અથવા છે. તેમાં વિદ્યાર્થીઓ, નાવિકો, બિઝનેસ કરનારાઓ, પ્રોફેશનલ અને કેટલાક પ્રવાસીઓ સામેલ છે. ત્યાં ફસાયેલા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પહોંચી ગયા છે. સરકારે તેહરાનમાંથી અનેક ભારતીય નાગરિકોને અન્ય સુરક્ષિત સ્થળે અને શહેરોમાં લઈ જવાઈ રહ્યા છે. હું આ વિકટ પરિસ્થિતિ વચ્ચે તે તમામ ભારતીય નાગરિકોને સલાહ આપું છું કે, જે નાગરિકો સરહદી રસ્તે ઈરાન છોડવા ઈચ્છે છે, તેઓ અમારી એમ્બેસી દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરે.’
અનેક દેશોમાં તેલ સંકટ, પડોશી દેશો દ્વારા ભારત પાસે ડીઝલની માંગ
રણધીર જયસ્વાલે અનેક દેશોમાં ક્રૂડ ઓઈલની ચાલી રહેલી કટોકટી અંગે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હાલ અનેક દેશો તેલ સંકટનો સામનો કરી રહ્યા છે, જેના કારણે પડોશી દેશો ભારત પાસે ડીઝલ માંગી રહ્યા છે.’ ઈરાન માત્ર ઈઝરાયલ પર જ નહીં પડોશી દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. ઈરાને પોતાનો હોર્મુઝ જળમાર્ગ બંધ કરીને વિશ્વભરને મોટો ઝટકો આપ્યો છે. અનેક દેશો માટે અતિ મહત્ત્વના આ જળમાર્ગ પર હુમલા થઈ રહ્યા હોવાના કારણે જહાજોનું નિકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ઈરાન શરૂઆતથી જ કતાર અને સંયુક્ત આરબ અમીરાત સહિતના તેલ પ્લાન્ટો પર સતત હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે ક્રૂડ ઓઈલનો સપ્લાય અટકી પડ્યો છે. હોર્મુઝ જળમાર્ગેથી પણ પસાર થતો તેલ સપ્લા અને ગેસ સપ્લાય મોટાભાગને બંધ થઈ રહ્યો છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોમાં ગેસ અને પેટ્રોલ કટોકટી જોવા મળી રહી છે.
યુદ્ધને આજે 13મો દિવસ
ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાય અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મધ્ય પૂર્વના દેશોમાં ભારતીયો સહિત અનેક વિદેશી નાગિરકો ફસાયા છે, ત્યારે ભારત સરકારે ભારતીય નાગરિકો સહિત વિદેશી નાગિરકોની પણ મદદ કરી રહી છે. યુદ્ધના આજે 13મો દિવસ છે, ત્યારે આ સંઘર્ષમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પણ સામે આવી છે. બીજીતરફ ઈરાન માત્ર ઈઝરાયલ સાથે જ નહીં મધ્ય-પૂર્વના દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે મધ્ય-પૂર્વમાં પણ ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સાથે વેપાર સપ્લાય ચેનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

