VIDEO: ભારતીય સેના બનશે વધુ ઘાતક! સ્વતંત્રતા દિવસ પૂર્વે રાજનાથ સિંહનું મોટું એલાન, ₹8.75 લાખ કરોડના હથિયારોથી સજ્જ થશે સેના
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશના જાંબાઝ જવાનોને સંબોધિત કરતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક વિશેષ સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યના સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળોના આધુનિકીકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. દેશના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર અને ભવિષ્ય માટે સજ્જ બનાવવા માટે અભૂતપૂર્વ પગલાં લેવામાં આવ્યા છે.
સંરક્ષણ ઇતિહાસનું સૌથી મોટું રોકાણ
સંરક્ષણ મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વીતેલા એક જ વર્ષમાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા ₹8.75 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ માટે 'એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી' (AoN) આપવામાં આવી છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રના આધુનિકીકરણના ઇતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાને અતિ-આધુનિક શસ્ત્રો, સંસાધનો અને ટેકનોલોજી પૂરી પાડવામાં આવશે.
સંરક્ષણ ખરીદ પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારા
રાજનાથ સિંહે કહ્યું કે, આધુનિકીકરણની ગતિ તેજ બનાવવા માટે સરકાર દ્વારા ખરીદ પ્રક્રિયાના નિયમોમાં મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા છે. વર્ષ 2026માં સંરક્ષણ સેવાઓ માટેની નાણાકીય સત્તાઓમાં વ્યાપક સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી ફિલ્ડ કમાન્ડરોની નાણાકીય સત્તામાં 100 ટકા સુધીનો વધારો કરાયો છે. આ નિર્ણયથી કોન્ટ્રાક્ટ્સની પ્રક્રિયા ઝડપી બનશે અને આપણી ઓપરેશનલ ક્ષમતામાં મોટો વધારો થશે.
સ્વદેશીકરણ (ઇન્ડિજનાઇઝેશન)ને વેગ
સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો અંગે વાત કરતાં સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વદેશીકરણ સંબંધિત નાણાકીય સત્તાઓને બમણી કરી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ સુધારાને કારણે રેવન્યુ રૂટ મારફતે ₹1.25 લાખ કરોડથી વધુની સંરક્ષણ ખરીદી શક્ય બની છે. આ સુધારાઓથી ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો થશે અને આપત્તિ કે યુદ્ધ જેવી સ્થિતિમાં નિર્ણયો લેવાની ક્ષમતા વધુ ઝડપી અને સુદ્રઢ બનશે.

