ભારતે ટેરિફ વિવાદને પગલે ચીની પ્રોફેશનલ્સને જલ્દી વિઝા આપવાનો કર્યો નિર્ણય

India-China Relations : અમેરિકા મસમોટો ટેરિફ ઝિંકીને ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભારતે દેશના ઉદ્યોગોની ગતિ વધારવા માટે ચીનના પ્રોફેશનલ્સને ફટાફટ વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. વિઝાની ખરાઈ અને તપાસ કરવામાં ઘણો સમય લાગતો હોવાથી વિઝામાં વિલંબ થાય છે. જોકે ભારતે આ સમય ઘટાડીને ચીનની કંનપીઓને બિઝનેસ વિઝા આપવાની યોજના બનાવી દીધી છે. ભારતે ચીનથી આવતા પ્રોફેશનલ્સને ફટાફટ વિઝા આપવાનો નિર્ણય કર્યો છે.
ચાર અઠવાડિયામાં મળી જશે વિઝા
મીડિયા રિપોર્ટ મુજબ, બે અધિકારીઓએ નામ ન જણાવવાની શરતે વિઝા અંગે કહ્યું છે કે, ચકાસણી પ્રક્રિયાને દૂર કરી દેવામાં આવી છે, તેથી હવે બિઝનેસ વિઝા ચાર અઠવાડિયાની અંદર આપી શકાશે. એવી પણ ચર્ચા છે કે, ભારતીય કંપનીઓમાં ટેકનિશિન્સની અછત હોવાના કારણે અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
ભારત-ચીન સંબંધો વધુ ગાઢ બન્યા
બીજીતરફ ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, બંને દેશો એકબીજાના હિતમાં સકારાત્મક પગલા ભરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. જોકે ભારતનો વિઝા અંગેનો નિર્ણય બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાની દિશામાં એક મોટું પગલું મનાઈ રહ્યું છે. મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે, બંને દેશો સતત એકબીજાના સંપર્કમાં છે અને સતત ચર્ચા-વિચારણા કરવાની રણનીતિ પર આગળ વધી રહ્યા છે.
ગલવાનની ઘટનાના પાંચ વર્ષ બાદ બંને દેશોના સંબંધો સુધર્યા
ઉલ્લેખનીય છે કે, મે-2020માં બંને દેશો વચ્ચે પૂર્વ લદ્દાખમાં LAC પર ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ચાઈનીઝ સૈનિકોએ વિવાદાસ્પદ વિસ્તારમાં ઘૂસણ કરી હતી, જેના કારણે બંને દેશોની સેના સામસામે આવી ગઈ હતી. ભારત ગલવાન નદીની ખીણ અને પેંગોગ પાસે રસ્તા બનાવી રહી હતી, જેને લઈને ચીનને વાંધો હતો. ત્યારબાદ બંને દેશોની સેના વચ્ચે મારામારી થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકો શહિદ થયા હતા. ઘટનાના પાંચ વર્ષ બાદ રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાતચીતો થયા બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો છે.

