Ahmedabad news: ફલાવર શો 2026ની તૈયારીઓ માટે 13 ડિસેમ્બરથી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક જનતા માટે બંધ

Ahmedabad news: અમદાવાદ શહેર તેમજ આસપાસના ગામડાઓ અને શહેરીજનો જેની એક વર્ષથી સતત પ્રતીક્ષા કરતા હોય તે ફ્લાવર શોની સાબરમતી નદીના તટ પર તૈયારીઓ શરૂ થવા જઈ રહી છે. જેથી આવતીકાલે એટલે કે, શનિવારથી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક જાહેર જનતા માટે બંધ રહેશે.
મળતી માહિતી અનુસાર, સાબરમતી નદી કિનારે આવેલા રિવરફ્રન્ટ પર વર્ષોથી નવા વર્ષે ફલાવર શોનું આકર્ષણ રહેતું હોય છે. જેથી આ વર્ષે ફલાવર શો–2026ના આયોજનના તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરના લોકપ્રિય સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક તેમજ મૂન ટ્રેલ 13 ડિસેમ્બર, 2025થી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા દર વર્ષે યોજાતા ભવ્ય ફલાવર શો માટેની તૈયારીઓ વ્યાપક આયોજન સાથે શરૂ થઈ ગઈ છે.
નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તૈયારીઓ દરમિયાન પાર્ક બંધ રહેવા અંગે સહકાર આપે અને ફલાવર શો–2026 શરૂ થયા બાદ આકર્ષક ફૂલોના વૈભવ માટે અવશ્ય ફ્લાવર પાર્કની મુલાકાત લેવી જોઈએ.

