VIDEO: પૂણેમાં ભયાનક ઘટના, સૂતેલા મજૂર પર ફેરવી દીધું JCB, લાશને કારની ડેકીમાં મૂકી રોડ પર ફેંકી દીધી!
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. દૌંડ તાલુકાના ગાદામોડીમાં આવેલા ગોળ બનાવવાના એક કારખાનામાં ઉત્તર પ્રદેશના રહેવાસી એક ૨૩ વર્ષીય મજૂરનું જેસીબી (JCB) નીચે કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ દર્દનાક અકસ્માતને છુપાવવા અને કાનૂની કાર્યવાહીથી બચવા માટે કારખાનાના માલિક અને અન્ય આરોપીઓએ જે કર્યું, તેણે સૌને ચોંકાવી દીધા છે. આરોપીઓએ યુવકની લાશને એક કારની ડેકીમાં મૂકી અને તેને વાઘોલી-રાહૂ રોડ પર ફેંકી દઈને માર્ગ અકસ્માતનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.
સૂતી વખતે ઉપર ચડાવી દીધું JCBનું ટાયર
મૃતક યુવકની ઓળખ રામૂ શંભૂ પાસી તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના કોલા ગામનો રહેવાસી હતો. રામૂ એપ્રિલ 2026થી દૌંડના ગાદામોડી સ્થિત કારખાનામાં મજૂરી કામ કરતો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, કારખાનાના પરિસરમાં જેસીબીનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ડ્રાઈવર આલમે બેદરકારીપૂર્વક જેસીબી ચલાવ્યું અને ત્યાં સૂતેલા રામૂ પાસી પર ભારે-ભરખમ ટાયર ચડાવી દીધું. આ અકસ્માતમાં રામૂનું ઘટનાસ્થળે જ તડપી-તડપીને મોત નીપજ્યું હતું.
કારખાનાના માલિકે આપી જાનથી મારી નાખવાની ધમકી
અકસ્માત થતાં જ કારખાનામાં ભારે નાસભાગ મચી ગઈ હતી. મામલાને દબાવી દેવા માટે જેસીબી માલિક અવિનાશ બાલાસો યાદવે કોન્ટ્રાક્ટર તમરેજ ફરીદીને મોઢું બંધ રાખવાની ધમકી આપી હતી. અવિનાશને કહ્યું કે આ વાતની જાણકારી કોઈને આપતો નહીં, નહીંતર જાનથી મારી નાખીશું.
ત્યારબાદ કાનૂની કાર્યવાહીના ડરથી આરોપીઓએ એક ભયાનક કાવતરું ઘડ્યું. અવિનાશ યાદવ, ગણેશ હરિભાઉ જગતાપ, કલ્લૂ અને પ્રધાન ઇસ્તકારે ભેગા મળીને રામૂની લાશને કારની ડિક્કીમાં છુપાવી અને વહેલી સવારે વાઘોલી-રાહૂ રોડ પર લઈ જઈને ફેંકી દીધી, જેથી આ એક સામાન્ય હીટ-એન્ડ-રનનો કેસ લાગે.
ભાઈના પુણે પહોંચ્યા પછી ખુલ્યું રામૂના મોતનું રહસ્ય
ઘટના બાદ ૧૯ જૂને કોન્ટ્રાક્ટરે રામૂના ભાઈ રાજૂ પાસીને ફોન કરીને રામૂ ગુમ થયો હોવાની માહિતી આપી હતી. પરિવારે થોડા દિવસ રાહ જોઈ, પરંતુ જ્યારે કોઈ ભાળ ન મળી ત્યારે રાજૂ ઉત્તર પ્રદેશથી દૌંડ પહોંચ્યો. તેણે બધી જગ્યાએ શોધખોળ કરી અને અંતે ૨૯ જૂને જ્યારે કારખાનામાં કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે આ આખા કાવતરાનો પર્દાફાશ થયો.
રાજૂ પાસીની ફરિયાદના આધારે યવત પોલીસ સ્ટેશનમાં જેસીબી ડ્રાઈવર આલમ, માલિક અવિનાશ યાદવ, ગણેશ જગતાપ, કલ્લૂ અને પ્રધાન ઇસ્તકાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૬(૧), ૨૩૮ અને ૩(૫) હેઠળ ગંભીર ગુનો નોંધી દેવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે આગળની તપાસ કરી રહી છે.

