પેપર લીક પર ડૅમેજ કન્ટ્રોલમાં લાગી સરકાર, PM મોદીનું કડક વલણ, કોની સામે થશે કાર્યવાહી?

NEET પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગડબડને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જંતર-મંતરથી શરૂ થયેલું આંદોલન હવે દેશના વિવિધ રાજ્યોમાં વ્યાપક બની રહ્યું છે. એક તરફ વિપક્ષનું આક્રમક વલણ અને બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના કડક સંદેશ બાદ હવે કેન્દ્રની મોદી સરકાર સંપૂર્ણપણે 'ડેમેજ કંટ્રોલ' અને 'એક્શન મોડ'માં આવી ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળી લીધો છે.
PM મોદીનો દેશના યુવાનોને કડક સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા અને મોડી રાત્રે જારી કરેલા એક વીડિયો સંદેશ મારફતે દેશના યુવાનો અને વાલીઓને આશ્વાસન આપ્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે યુવાનોનું ભવિષ્ય અને તેમનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીક એ કોઈ નાની ઘટના નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ભારે દુઃખદ બાબત છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા કોઈ પણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.
દેશમાં 4 વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત
પેપર લીકના દોષિતોને ઝડપી અને કડક સજા મળે તે માટે સરકારે દેશમાં વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી, બોમ્બે, કલકત્તા અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આ વિશેષ અદાલતો બનાવવામાં આવશે. આ કોર્ટ્સમાં કેસોની રોજિંદી (Daily) સુનાવણી થશે જેથી ન્યાય પ્રક્રિયામાં વિલંબ ન થાય.
શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ: વિનીત જોશીની હાકલપટ્ટી
સરકારે વહીવટી સ્તરે જવાબદારી નક્કી કરવાની શરૂઆત કરી દીધી છે. કડક કાર્યવાહીના ભાગરૂપે સિનિયર IAS અધિકારી નરેશ ગંગવારને નવા શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ શિક્ષણ સચિવ વિનીત જોશીને હોદ્દા પરથી હટાવીને પંચાયતી રાજ વિભાગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રમાં આ ફેરબદલ કરીને સરકારે વિદ્યાર્થીઓને મોટો સિયાસી અને વહીવટી સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
સોનમ વાંગચુકે પારણાં કર્યા: સરકારે સ્વીકારી 3 માંગણીઓ
સરકારના સખત વલણ અને દખલગીરી બાદ 28 જૂનથી ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણ અને શિક્ષણ કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુવારે મોડી રાત્રે અનશન તોડ્યું હતું. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે હોસ્પિટલ પહોંચીને તેમના પારણાં કરાવ્યા હતા. સરકારે તેમની ત્રણ મુખ્ય માંગણીઓ સ્વીકારી છે:
૧. જંતર-મંતર અને સંસદ માર્ચમાં સામેલ શાંતિપૂર્ણ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચાશે.
૨. સંસદના આગામી સત્રમાં પેપર લીક રોકવા અને પરીક્ષા પ્રણાલીમાં કાયમી સુધારા માટે વિશેષ ચર્ચા યોજાશે.
૩. NEET પેપર લીકના તણાવમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવા સરકાર હકારાત્મક વિચારણા કરશે.
હવે કોનો વારો? શિક્ષણ મંત્રીના રાજીનામા પર અડેલો વિપક્ષ
સરકારના આ તમામ પગલાં છતાં રાજકીય ગરમાવો શાંત થયો નથી. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિત આખો વિપક્ષ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડીખમ છે. બીજી તરફ ભાજપના જ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ પણ વિદ્યાર્થીઓ પરના પોલીસ બળપ્રયોગને પીડાદાયક ગણાવી તેમની ચિંતાઓને વાસ્તવિક ગણાવી હતી.
હવે શુક્રવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં નવા કડક કાયદાના ડ્રાફ્ટ પર ચર્ચા થશે અને સોમવારથી શરૂ થતા સંસદ સત્રમાં તેને પસાર કરાવવાનો પ્રયાસ કરાશે. ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર આગામી દિવસોમાં વધુ કેવા કડક રાજકીય કે વહીવટી નિર્ણયો લે છે.

