NEET-UG 2024 પેપર લીક મામલો : CBIએ મુખ્ય કથિત સૂત્રધાર સંજીવ મુખિયાને આપી ક્લીન ચિટ

Sanjeev Mukhiya CBI Clean Chit: વર્ષ 2024માં સમગ્ર દેશને હચમચાવી દેનાર NEET-UG પેપર લીક કેસમાં એક મોટો ખુલાસો થયો છે. બિહાર પોલીસ દ્વારા આ પેપર લીક રેકેટના કથિત મુખ્ય સૂત્રધાર ગણાવાયેલા સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયાને CBI દ્વારા ક્લીન ચિટ આપી દેવામાં આવી છે. બિહાર પોલીસ પાસેથી આ કેસની તપાસ હાથમાં લીધા બાદ CBIએ આ પગલું ભર્યું છે.
CBIને તપાસમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા
CBI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 2024ની NEET-UG પરીક્ષાના પેપર લીક અથવા તેની વહેંચણીમાં સંજીવ મુખિયા સામેલ હોવાના કોઈ પુરાવા તપાસ દરમિયાન મળ્યા નથી. વર્ષ 2024માં જ્યારે બિહાર પોલીસે આ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી, ત્યારે સંજીવ મુખિયા ભૂતકાળમાં અન્ય પેપર લીક કેસોમાં સંકળાયેલો હોવાથી તેના પર શંકા ગઈ હતી. આ શંકાના આધારે જ બિહાર પોલીસે એફઆઈઆર (FIR) માં તેને આરોપી તરીકે દર્શાવ્યો હતો.
સમગ્ર કાવતરાનો પર્દાફાશ: 45 લોકો સામે ચાર્જશીટ
કેસની તપાસ પોતાના હાથમાં લીધા પછી CBIએ પ્રશ્નપત્રની ચોરી કરવાથી લઈને, તેની વહેંચણી કરવા અને તેનો ફાયદો ઉઠાવનાર તમામ લોકોની ઓળખ કરી લીધી છે. CBI દ્વારા પટણા કોર્ટમાં 45 લોકો વિરુદ્ધ પૂરતા પુરાવા સાથે અલગ-અલગ ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી છે. આ સમગ્ર ષડયંત્રમાં સામેલ તમામ ગુનેગારોની ઓળખ થઈ ગઈ છે અને એજન્સીએ એ વાત સુનિશ્ચિત કરી છે કે આ કૌભાંડમાં સામેલ એક પણ દોષિત કાયદાની પકડમાંથી બચીને છટકી ન શકે.
કસ્ટડી અને જામીનની પ્રક્રિયા
તપાસ દરમિયાન સંજીવ મુખિયા ફરાર થઈ ગયો હતો અને પાછળથી બિહાર પોલીસે તેની અટકાયત કરી હતી. એફઆઈઆરમાં નામ હોવાને કારણે CBIએ પૂછપરછ માટે તેને પોલીસ કસ્ટડીમાં લીધો હતો. પરંતુ, ઊંડાણપૂર્વકની તપાસ બાદ પણ કોઈ પુરાવા ન મળતા CBIએ તેની સામે કોઈ ચાર્જશીટ દાખલ કરી ન હતી, જેના પગલે તેને NEET-UG કેસમાં જામીન મળી ગયા હતા. જોકે, બિહાર પોલીસ દ્વારા ચલાવાતા અન્ય કેસોમાં પણ આરોપી હોવાના કારણે તે હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.

