યુપી ચૂંટણીમાં કરણી સેનાની ધમાકેદાર એન્ટ્રી! 50 બેઠકો પર ઉમેદવાર ઉતારવાની જાહેરાતથી ભાજપના શ્વાસ અદ્ધર

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે. કરણી સેનાએ રાજ્યની 50 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કરણી સેનાના આ નિર્ણયથી યુપીના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર થવાની શક્યતા સેવાઈ રહી છે.
અમે યુપી ચૂંટણીમાં ઉમેદવારો ઉતારીશું : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ સિંહ અમ્મુ (Surajpal Singh Amu)એ જણાવ્યું કે, ‘કરણી સેના પૂરા દમ સાથે યુપીના ચૂંટણી મેદાનમાં ઉતરશે. હાલની રાજનીતિ માત્ર ઓબીસી કેન્દ્રિત થઈ ગઈ છે, બધાને માત્ર ઓબીસીની ચિંતા છે અને સવર્ણોના મુદ્દા પર કોઈ બોલવા તૈયાર નથી. હું પોતે ચૂંટણી નહીં લડું, પરંતુ કરણી સેના 2027ની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખશે.’
સૂરજપાલે રાજભર સાથે પણ મુલાકાત કરી
હાલ યુપી પ્રવાસે આવેલા સૂરજપાલે સુભાસ્પા પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર (Om Prakash Rajbhar) સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ‘આર્થિક આધારે અનામત અંગે બધા પક્ષો મૌન છે, રાજપૂત મહાપુરુષોના ઇતિહાસ સાથે છેડછાડ થઈ રહી છે અને ક્ષત્રિય નેતાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.’ સંગઠને એવી બેઠકો પસંદ કરવાનું શરૂ કર્યું છે જ્યાં ક્ષત્રિય મતદારોની સંખ્યા 15થી 25 ટકા જેટલી છે.
ચૂંટણી લડવાથી કોની મુશ્કેલીઓ વધશે?
કરણી સેનાનો મુખ્ય જનાધાર ક્ષત્રિય સમાજ છે, જે પરંપરાગત રીતે ભાજપની મજબૂત વોટબેંક માનવામાં આવે છે. યુપીમાં રાજપૂત સમુદાયની વસ્તી 6 થી 7 ટકા જેટલી છે અને તેઓ આશરે 65 થી 70 બેઠકો પર જીત મેળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજ્યમાં ઘણી બેઠકો પર જીત-હારનું અંતર માત્ર 2,000થી 5,000 મતોનું હોય છે. આવા સંજોગોમાં કરણી સેના જો આક્રમક રીતે ચૂંટણી લડીને થોડા હજાર મતો પણ કાપશે, તો તે ભાજપના સવર્ણ વોટબેંકમાં મોટું ગાબડું પાડીને તેના ઉમેદવારોનું ગણિત બગાડી શકે છે.
સમાજવાદી પાર્ટીને થઈ શકે છે સીધો ફાયદો
કરણી સેનાના મેદાનમાં આવવાથી સવર્ણ મતોમાં વિભાજન થઈ શકે છે, જેનો સીધો લાભ સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ (Akhilesh Yadav)ના પીડીએ (પછાત, દલિત, લઘુમતી) સમીકરણને મળી શકે છે. અગાઉ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ઠાકુર સમુદાયની મહાપંચાયતો અને કરણી સેનાના વિરોધનો ભાજપને સામનો કરવો પડ્યો હતો અને 80માંથી માત્ર 33 બેઠકો મળી હતી, જ્યારે સપા 37 બેઠકો જીતી ગઈ હતી. હવે જો 2027માં કરણી સેના સ્થાનિક સ્તરે અસરકારક સાબિત થશે, તો યુપીમાં અનેક બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે.

