E20 પેટ્રોલથી એન્જિન બગડવાનો સૌથી મોટા ઓટોમોબાઈલ સંગઠનનો દાવો, સરકારે આપ્યો જવાબ

E20 Petrol Controversy: હાલ દેશમાં E20 પેટ્રોલ (20% ઈથેનોલ મિશ્રિત ઈંધણ)ને લઈને ભારે ચર્ચા અને વિવાદ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકારનો દાવો છે કે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને ઈંધણની ગુણવત્તા પર સતત નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ, ઓટોમોબાઈલ કંપનીઓના સંગઠન 'સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ' (SIAM)ના એક કથિત અહેવાલને ટાંકીને મીડિયામાં દાવો કરાયો હતો કે આ પેટ્રોલના કારણે વાહનોના એન્જિન અને એગ્ઝોસ્ટ સિસ્ટમના મહત્ત્વના સ્પેરપાર્ટ્સ ઝડપથી ખરાબ થઈ રહ્યા છે. જોકે, બાદમાં આ અહેવાલ હટાવી લેવામાં આવ્યો હતો.
E20 પેટ્રોલમાં ક્લોરાઈડ અને ભેજનું પ્રમાણ વધવાનો દાવો
મીડિયા રિપોર્ટ અનુસાર, SIAMએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને પત્ર લખીને E20 પેટ્રોલની ક્વોલિટી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટમાં દાવો કરાયો હતો કે પેટ્રોલમાં વધુ પડતા ક્લોરાઈડ અને ભેજના કારણે ફ્યુઅલ ઈંજેક્ટર, ફ્યુઅલ પંપ, ઈજીઆર વાલ્વ અને એન્જિનમાં કાટ લાગવાની તેમજ ઘસારો થવાની સમસ્યાઓ વધી છે. કેટલાક વાહનોના ફ્યુઅલ ટેન્કમાંથી લેવાયેલા સેમ્પલમાં ક્લોરાઈડનું પ્રમાણ 500 mg/kg અને પેટ્રોલ પંપના સેમ્પલમાં 350 mg/kg સુધી મળ્યું હોવાનું કહેવાયું હતું. આથી SIAMએ BISના ઈંધણ ધોરણોમાં ક્લોરાઈડની મહત્તમ મર્યાદા 1 mg/kgથી ઓછી રાખવાની ભલામણ કરી હોવાનું ચર્ચાયું હતું.
ઈથેનોલમાં ભેજ ખેંચવાના ગુણને કારણે ટેકનિકલ ખામીની શક્યતા
અહેવાલમાં ક્લોરાઈડ ઉપરાંત ભેજના ઊંચા પ્રમાણને પણ મોટી સમસ્યા ગણાવવામાં આવી હતી. કેટલાક સેમ્પલમાં ભેજનું સ્તર નિર્ધારિત 3,000 mg/kgની મર્યાદા સામે 10,000 mg/kgથી વધુ હોવાનો દાવો કરાયો હતો. ઈથેનોલ વાતાવરણમાંથી ભેજ સોંપવાની ખાસિયત ધરાવે છે, જેના કારણે ઈંધણ અલગ-અલગ પડમાં વહેંચાઈ જાય છે અને પેટ્રોલ ભરાવ્યા બાદ તરત જ એન્જિન બંધ પડી જવાની સમસ્યા સર્જાય છે. આ અંગે SIAMએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સમગ્ર સપ્લાય નેટવર્ક અને જૂના પેટ્રોલ પંપોના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્કનું સમયાંતરે ઓડિટ કરવાની ભલામણ કરી હતી.
સરકારનો સ્પષ્ટકાર: 2,000 સેમ્પલમાંથી માત્ર 2માં જ ખામી મળી
મીડિયા રિપોર્ટ સામે આવ્યા બાદ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશભરમાં ઈંધણની ગુણવત્તાની નિયમિત તપાસ કરવામાં આવે છે. હાલમાં દેશના 87,000થી વધુ પેટ્રોલ પંપો પર રોજ દિવસમાં 8થી 12 વખત પાણીની ભેળસેળ ચકાસવામાં આવે છે. સરકારે જણાવ્યું કે દેશભરમાંથી લેવાયેલા 2,000થી વધુ સેમ્પલમાંથી માત્ર 2 જ કેસમાં ક્લોરાઈડની હાજરી મળી હતી, જે બાદ તે બંને પેટ્રોલ પંપ પરથી ઈંધણનું વેચાણ તુરંત જ બંધ કરાવી દેવાયું હતું.
SIAMએ કરી સ્થિતિ સ્પષ્ટ, કહ્યું- સામાન્ય વાહનચાલકો ચિંતા ન કરે
સમગ્ર વિવાદ વધતાં SIAM દ્વારા પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. સંગઠને જણાવ્યું છે કે મીડિયામાં સામે આવેલા આંકડાઓને આખરી કે પ્રમાણિત માનવા જોઈએ નહીં. હાલ સામાન્ય વાહનચાલકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 150થી વધુ અલગ-અલગ ગુણવત્તા ધોરણોની કડક તપાસ કરે છે. ઉપરાંત, પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ઈથેનોલમાં ક્લોરાઈડ અને સલ્ફરની મર્યાદા પહેલાથી જ 3ppm નક્કી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સામાજિક કાર્યકર્તા તહસીન પુનાવાલા અને ટ્રાન્સપોર્ટ યુનિયનો દ્વારા E20 ફ્યુઅલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેવા સમયે આ વિવાદ સામે આવ્યો છે.

